– મંદિર બહાર તૈનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવા મામલે અબ્બાસી સામે 2 કેસ નોંધાયા
ગોરખપુર, તા. 06 એપ્રિલ 2022, બુધવાર : ગોરખનાથ મંદિરમાં પીએસી જવાનો પર હુમલો કરનારા આરોપી મુર્તઝા અબ્બાસી પરનો શિકંજો વધુને વધુ કસાઈ રહ્યો છે અને ATSએ પોતાની તપાસ વધારે સઘન બનાવી દીધી છે. ATSની ટીમ મુર્તઝાની જન્મ કુંડળી ફંફોસવા માટે તેના સાસરે જૌનપુર પણ પહોંચી ગઈ હતી અને તેની પત્નીની પુછપરછ કરી હતી.અગાઉ તપાસ ટીમે મુર્તઝા અબ્બાસીના ઘરે શોધખોળ કરી હતી જેમાં એરગન મળી આવી હતી. જાણવા મળ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી તે ઘરે જ છત પર અને ખાલી જગ્યાએ એરગન વડે નિશાનબાજી શીખી રહ્યો હતો.
વર્ષ 2019માં નગરમાં સબ્જી મંડી નિવાસી મુજફ્ફરૂલ હકની દીકરી ઉમ્મે સલમા ઉર્ફે શાદમા સાથે મુર્તઝા અબ્બાસીની શાદી થઈ હતી.મુજફ્ફરૂલ હકના કહેવા પ્રમાણે 1 જૂન 2019ના રોજ તેની દીકરીની શાદી થઈ હતી પરંતુ દીકરીના સાસુ તેને હેરાન કરતા હોવાથી સપ્ટેમ્બર 2019માં દીકરીને ઘરે પાછી લાવી નાખી હતી.પુછપરછ દરમિયાન આતંકવાદી સંગઠન સાથે મુર્તઝાના સંબંધ અંગે શાદમાએ જણાવ્યું કે, ‘મારા સમયમાં એવું કશું નહોતું.તે ખૂબ ઓછી વાત કરતો. એના મમ્મી મને હેરાન કરતા હતા.’ ઝાકિર નાઈકના વીડિયો જોવા મામલે શાદમાએ જણાવ્યું કે, તેના સામે કદી આવો ઉલ્લેખ નથી થયો પરંતુ તે કદીક વીડિયો જોતો હતો.
અબ્બાસી સામે 2 કેસ નોંધાયા
મંદિર બહાર તૈનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવા મામલે અબ્બાસી સામે 2 કેસ નોંધાયા છે.પહેલો કેસ ગોરખનાથ થાણાના ઈન્સપેક્ટર મનોજ કુમાર સિંહે crime no 60/2022, લૂંટ,હત્યાના પ્રયત્ન, 7CLAની કલમ અંતર્ગત કેસ દાખલ કરાવ્યો છે. બીજો કેસ મંદિરની સુરક્ષામાં તૈનાત પીએસીના હેડ કોન્સ્ટેબલ વિનય કુમાર મિશ્રાએ દાખલ કરાવ્યો છે.પોલીસના કહેવા પ્રમાણે આરોપી અહમદ મુર્તઝા અબ્બાસી પાસેથી એક નહીં પણ 3 ધારદાર હથિયાર મળ્યા હતા.તે 2 બાંકા અને એક ચાકુ લઈને અંદર ઘૂસ્યો હતો.તેણે એક બાંકા (જાડો મોટો છરો) વડે હુમલો કર્યો હતો જ્યારે બાકીના બંને હથિયાર બેગમાં સંતાડ્યા હતા.
પિતાનું નિવેદન
મુર્તઝાના પિતા મુનીર અબ્બાસીએ જણાવ્યું કે, ‘આ બધું ભાગ્ય છે, નિયતી છે જે તેની બીમારી બની. અમે તો હવે કોઈને ફરિયાદ પણ નથી કરી શકતા.તેનો જીવ બચી ગયો એ જ ઘણું.અમે કઈ રીતે માની લઈએ કે તે આતંકવાદી બની ગયો. આતંકવાદી હોત તો બંદૂક લઈને જાત.તે કોઈ બીજાની ચઢામણીથી નહીં પરંતુ પોતાના મગજના બહેકાવામાં હતો, જે માનસિક રોગી છે.’
શું છે કેસ
ગોરખનાથ પીઠમાં અહમદ મુર્તઝા અબ્બાસી નામના શખ્સે મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. ઉપરાંત મંદિરની આસપાસ રહેલા લોકોને ધારદાર હથિયાર વડે ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો.આરોપ પ્રમાણે હુમલો કરતી વખતે તેણે અલ્લાહ-હૂ-અકબરના નારા પણ લગાવ્યા હતા.ઉત્તર પ્રદેશ પોલીસના કહેવા પ્રમાણે આ મામલે આતંકવાદી ષડયંત્રને પણ નકારી ન શકાય.પોલીસે આ મામલે આતંકવાદી એન્ગલથી પણ તપાસ શરૂ કરી છે.અત્યાર સુધીમાં યુપીના અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને પોલીસે 5 લોકોને કસ્ટડીમાં લીધા છે.

