અમદાવાદ : યુનાઈટેડ નેશન્સ દ્વારા ગત વર્ષે ૨૦૨૧માં યુ.કે.ના ગ્લાસ્ગોમાં કલાઈમેન્ટ ચેન્જ મુદ્દે વર્લ્ડ કોન્ફરન્સમાં પાણી સમસ્યા અને સંરક્ષણ મુદ્દે ચર્ચા થઈ હતી.જેમાં ભારતના વડાપ્રધાને પણ પર્યાવરણ મુદ્દે વકતવ્ય આપ્યુ હતું.આ ચર્ચા થયા બાદ હવે ગ્લાસ્ગો યુનિ.નું ડેલિગેશન આવતીકાલે ગુજરાત યુનિ.માં ત્રણ દિવસની મુલાકાત માટે આવનાર છે.આ ડેલિગેશન ગુજરાત યુનિ.સાથે મળીને ગુજરાત અને ભારતમાં પાણીની સમસ્યા અને સંરક્ષણ મુદ્દે શ્વેતપત્ર તૈયાર કરશે.યુ.કેની દાયકાઓ જુની પબ્લિક રીસર્ચ યુનિ.એવી યુનિ.ઓફ ગ્લાસ્ગો દ્વારા ગતગ વર્ષે યુ.કેના ગ્લાસ્ગોમાં ક્લાઈમેટ ચેન્જ મુદ્દે વર્લ્ડ કોન્ફરન્સ થયા બાદ હાલ પર્યાવરણના વિવિધ મુદ્દાઓ પર રીસર્ચ કરવામા આવી રહ્યુ છે.જે અંતર્ગત ગ્લાસ્ગો યુનિ.ના બે પ્રોફેસરો સહિતનું ડેલિગેશન આવતીકાલે ગુજરાત યુનિ.આવશે. ગુજરાત યુનિ.માં આવેલા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે મળી ગ્લાસ્ગો યુનિ.નું ડેલિગેશન પાણી સંરક્ષણ એટલે કે વર્લ્ડ કન્ઝર્વેશન મુદ્દે વ્હાઈટ પેપર તૈયાર કરશે.ગુજરાતમાં નર્મદા-કેવડીયા ખાતે સૌથી મોટો સરદાર સરોવર ડેમ આવેલો છે ત્યારે નર્મદા ડેમ તેમજ ગુજરાતની વિવિધ નદીઓ, તળાવો અને ડેમ સહિતના પાણીના સ્ત્રોતો પર એક મોડલ તૈયાર કરાશે.
ઉપરાંત કચ્છમાં પાણીની શું સમસ્યા છે, ગુજરાતમાં સિંચાઈના પાણી માટે શું સમસ્યા છે ,નદી-તળાવો અને ડેમોમાં કેટલુ પાણી છે, ગ્રાઉન્ડ વોટર તેમજ ઈરિગેશન વોટર કઈ રીતે વધારી શકાય, પાણીની સાચવણી વધુ સારી રીતે કઈ રીતે થઈ શકે તે સહિતના તમામ મુદ્દે આ ડેલિગેશન ગુજરાત યુનિ.સાથે મળી પ્રેઝન્ટેશન રિપોર્ટ તૈયાર કરશે.ગુજરાત સરકારના સરદાર સરોવર નિગમના પણ આઠ અધિકારીઓ આ ડેલિગેશન સાથે ગુજરાત યુનિ.ના ત્રણ દિવસના ડીબેટ કાર્યક્રમમાં જોડાશે.ત્યારબાદ અધિકારીઓ સાથે ડેલિગેશન કેવડીયાની મુલાકાત લેશે.એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કરાશે અને જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આપવામા આવશે.