નવી દિલ્હી, તા. 23 માર્ચ 2022, બુધવાર : હાઈ કોર્ટે એવી સ્પષ્ટતા કરી છે કે,ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત મહિલાઓ સાસરિયામાં રહેવાનો અધિકાર ધરાવે છે.આ અધિકાર હિંદુ વિવાહ અધિનિયમ અંતર્ગત ઉત્પન્ન થતાં એવા કોઈ પણ અધિકારથી અલગ છે જે વૈવાહિક અધિકારોના પુનઃસ્થાપન સાથે સંબંધિત છે.કોર્ટે મહિલાને ઘરમાં રહેવાના અધિકાર સંબંધી નીચલી અદાલતના આદેશને ઉચિત ઠેરવીને આ ટિપ્પણી કરી હતી.
ન્યાયમૂર્તિ ચંદ્રધારી સિંહે એક દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી એ અરજીને ફગાવી દીધી હતી જેમાં અતિરિક્ત સત્ર ન્યાયાધીશના આદેશને પડકારવામાં આવ્યો હતો.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, શરૂઆતમાં તેમની પુત્રવધૂને સાસરિયાંઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા પરંતુ સમય સાથે તે ખરાબ થવાનું શરૂ થયું હતું.
મહિલાએ 16 સપ્ટેમ્બર 2011ના રોજ પોતાનું સાસરિયું છોડી દીધું હતું.અરજીકર્તાના કહેવા પ્રમાણે બંને પક્ષોએ એકબીજા સામે 60થી વધારે દીવાની અને અપરાધિક કેસ દાખલ કરાવ્યા છે. તેમાંથી એક કેસ પત્ની દ્વારા ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ અધિનિયમ, 2005 અંતર્ગતનો હતો અને કાર્યવાહી દરમિયાન પ્રતિવાદીએ સંબંધિત સંપત્તિમાં નિવાસના અધિકારનો દાવો કર્યો હતો.મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે મહિલાની અરજીનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે,પત્ની ઉક્ત સંપત્તિના પહેલા માળે નિવાસના અધિકારની હકદાર છે.