અમદાવાદ,તા.11 મે 2022, બુધવાર : ઘોડાસરમાં મંગલેશ્વર મહાદેવથી રિંગરોડ જતા રસ્તા પર વૈભવલક્ષ્મી મંદિરની નજીક સહ્યાદી સોસાયટી પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડયું હતું.હજારો લીટર પાણી વેડફાયું હતું.પાણીનું પ્રેસર એટલું વધારે હતું હતું પાણીનો ફૂવારે ૧૦ ફૂટ જેટલો ઉંચે ગયો હતો.આજુબાજુના વિસ્તાર, રોડ પર પાણી ફરી વળ્યા હતા.
પૂર્વ અમદાવાદમાં પીવાના પાણીનો કેટલી હદે બગાડ થઇ રહ્યો છે તે એ વાત પરથી ખ્યાલ આવી જાય તેમ છેકે અઠવાડિયમાં બે-ત્રણ દિવસ તો ક્યાંકને ક્યાંક પાણીની લાઇનમાં ભંગાણ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહેતા હોય છે.
બુધવારે સવારે ઘોડાસરમાં આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં એમ્પાયર હાઇટ્સ બિલ્ડિંગા ઝાંપા પાસે જ ખોદકામ બાદ પીવાના પાણીની લાઇનમાં થયેલા ભંગાણના કારણે શુદ્ધ પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થયો હતો.સ્થાનિક રહીશોના મતે દશ ફૂટ સુધી પાણીનો ફૂવારો ઉંચો ગયો હતો.રોડ પર નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.પાણીની લાઇન લીકેજની જાણ મ્યુનિ.તંત્રને કરી હોવા છતાંય કલાકો સુધી કોઇ મરામત માટે આવ્યુ ન હતું.જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
પાણી લીકેજના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ સવારે પાણી આવ્યું ન હતું.ઓછું અને ઓછા પ્રેસરથી પાણી આવવા ઉપરાંત છેવાડાના વિસ્તારોમાં તો પાણી જ આવ્યું ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે.પૂર્વમાં વારંવાર પાણીનો વેડફાટ થતા રોકવા માટે મ્યુનિ.તંત્રે એક્શન પ્લાન તૈયાર કરવો જોઇએ, આવી સ્થિતિમાં તજજ્ઞા ટીમ તાત્કાલિક સ્થળે પહોચી મરામત કરે તેવા પગલા લેવાવા જોઇએ તેવી માંગણી ઉઠી છે.પાણી લીકેજની શક્યતાવાળી લાઇનોનો સર્વે કરીને નવી લાઇન નાંખવી જોઇએ.