ચલથાણના તલાટીએ કોન્ટ્રાકટર સાથે મળી કરી નાંખ્યો ખેલ ,ટેન્ડર ખોલી નાખવાના પ્રકરણમાં ખાતાકીય તપાસ શરૂ

HM News
2 Min Read

– તલાટીએ તપાસથી બચવા ધમપછાડા શરૂ કર્યા

બારડોલી : ગત વર્ષે વિકાસ લક્ષી કામો માટેની ટેન્ડર પ્રક્રિયામાં ગોબાચારી આચરનાર તલાટી કમ મંત્રી વિરુદ્ધ ખાતાકીય તપાસનો ધમધમાટ ફરી શરૂ થયો છે.જિલ્લા વિકાસ અધિકારી કચેરીના હિસાબનીસ અધિકારી તલાટીએ આચરેલી ગોબાચારીની તપાસ કરશે.તલાટીએ વિવાદિત કોન્ટ્રાકટ અજય મહેતા સાથે મળી ટેન્ડર ખોલી નાખ્યા હતા એક કરોડ રૂપિયાના કામોનો કોન્ટ્રાકટ અજય મહેતાના ફાળે ગયો હતો.જે અંગે તાલુકા અને જિલ્લા પંચાયતમાં ફરિયાદ બાદ તપાસ સોંપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકડાઉન બાદ ચલથાણ પંચાયત દ્વારા ગામમાં 2020-21ના સત્તરથી વધુ વિકાસ લક્ષી કાર્યો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ટેન્ડર પ્રક્રિયા પહેલાં જ સિલબંધ ભાવોના કવર તલાટી કમ મંત્રી કૈશિક પટેલે પોતાના ઘરે તેમજ અન્ય પંચાયત ઓફિસોમાં જઇ ખોલી નાખી ગોબાચારી આચરી હતી.દરમ્યાન ટેન્ડર મિટિંગ પ્રક્રિયા વખતે પંચાયત સભ્ય ભોળાભાઈ બુધેલીયાને આ બાબતનું ધ્યાન જતાં તેમણે ટેન્ડર પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને સમગ્ર મુદ્દે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત કચેરીએ રજુઆત કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની માગ કરી હતી.રજૂઆત બાદ ઉપરી અધિકારી દ્વારા આ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.ટેન્ડર ખોલી નાખવા બાબતે તલાટી કમ મંત્રી વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી આ તપાસ દરમ્યાન પલસાણા TDO રાઠવાનું કોરોનાના કારણે મૃત્યુ થતા સમગ્ર તપાસ ધીમી પડી હતી.દરમ્યાન સોમવારના રોજથી ફરી આ મામલે તપાસ હિસાબનિશ અધિકારી મીનેશ પટેલને આપવામાં આવી છે.હજુ તો ટેન્ડર કૌભાંડ અંગે તપાસ ચાલુ છે ત્યાં તો તલાટી કમ મંત્રી આ કૌભાંડમાંથી પોતાની ચામડી બચાવવા ધમપછાડા કરી રહ્યા છે.રાજકીય નેતાઓના જોરે તેઓ ચલથાણથી અન્ય ગ્રામ પંચાયતમાં બદલી માંગવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે.જોકે સમગ્ર મામલે ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા રાજકીય માથાઓની સંડોવણી બહાર આવે તેમ છે જેથી આ ખાતાકીય તપાસથી ચલથાણના રાજકીય નેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *