સુપ્રીમ કોર્ટે ચારધામ રોડ પ્રોજેક્ટના ભાગરૂપે બે લેનનો રોડ બનાવવાની મંજૂરી આપી છે.કોર્ટે આર્મી માટે તેના સ્ટ્રેટેજિક મહત્વને જોતા ડબલ લેન રોડને બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.કોર્ટ આ અંગે કહ્યું છે કે આ રસ્તાનું મહત્વ છે.સીમા સુરક્ષાની ચિંતાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.રાષ્ટ્રીય સુરક્ષા માટે હાલ ગંભીર પડકારો છે.આવા સંજોગોમાં સૈનિકો અને હથિયારોની અવર-જવર માટે રસ્તો સરળ હોય તે જરૂરી છે.કોર્ટે 8 સપ્ટેમ્બર 2020ના રોજ આપવામાં આવેલા આદેશમાં ફેરફાર કરતા આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.આ માટે સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ એકે સીકરીના નેતૃત્વમાં એક સમિતિની રચના પણ કરી છે.જે પર્યાવરણની સુરક્ષા માટે જરૂરી એવા તમામ ઉપાય કરવા બાબતે દેખરેખ રાખશે.આ સિવાય કમિટી તરફથી જે પણ ભલામણ કરવામાં આવે તેનું પાલન થાય તે પણ જરૂરી છે. આ સમિતિને રક્ષા મંત્રાલય,રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય,ઉત્તરાખંડ સરકાર અને તમામ જિલ્લા અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળશે.
સરકારે કહ્યું-દુર્ઘટના રોકવા માટે શક્ય તેટલા તમામ પગલા ઉઠાવવામાં આવે
પ્રોજેક્ટના કારણે હિમાલયના ક્ષેત્રોમાં ભૂસ્ખલનની ચિંતાઓને રોકવા માટે સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે.સરકારે કહ્યું કે આ પ્રકારની દુર્ઘટનાને રોકવા માટે તમામ પ્રકારના પગલા ભરવામાં આવશે.દેશના અલગ-અલગ ભાગમાં ભૂસ્ખ્લન થયું છે અને તેના માટે માત્ર રોડ નિર્માણ જ જવાબદાર નથી.
સૈનિકોની સુવિધા માટે રોડ બનાવવો જરૂરી
થોડા દિવસો પહેલા કેન્દ્રએ કોર્ટમાં એક સીલબંધ કવર આપ્યું હતું. તેમાં ચીને કરેલા બાંધકામની તસ્વીરો હતી. સરકારની રજૂઆત કરતા અર્ટોની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું-ચીન તરફથી એરસ્ટ્રીપ,હેલીપેડ,ટેન્કો,સૈનિકો માટે બિલ્ડિંગ્સ અને રેલવે લાઈનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ટેન્કો,રોકેટ લોન્ચર અને તોપ લઈ જવા માટે ટ્રકોએ રસ્તાઓ પરથી પસાર થવું પડી શકે છે,આ કારણે રસ્તાની પહોંળાઈ 10 મીટર હોવી જરૂરી છે.1962ના ભારત અને ચીનના યુદ્ધની વાતને યાદ કરીને વેણુગોપાલે કહ્યું હતું કે કોર્ટને એ વાતનો ખ્યાલ છે કે 1962માં શું થયું હતું.આપણે મિલિટરીની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ.આપણા સૈનિકોને સીમા સુધી પગે ચાલીને જવું પડતુ હતું.
શું છે ચારધામ પ્રોજેક્ટ
ચારધામ પ્રોજેક્ટનો હેતુ તમામ ઋતુઓમાં પહાડી રાજ્યના ચાર પવિત્ર સ્થળો યમુનોત્રી,ગંગોત્રી,કેદારનાથ અને બદ્રીનાથને જોડવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી કોઈ પણ ઋતુમાં ચારધામની યાત્રા કરી શકાશે.આ પ્રોજેક્ટ અંતર્ગત 900 કિલોમીટર લાંબો રોડ બની રહ્યો છે.
એક અનુમાન મુજબ અત્યાર સુધીમાં 25 હજાર ઝાડ કાપવામાં આવ્યા છે.તેના પગલે પર્યાવરણવાદીઓ નારાજ છે.સિટીઝન ફોર ગ્રીન નીમ નામના NGOએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ના 26 સપ્ટેમ્બર 2018ના આદેશ પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.NGOનો દાવો હતો કે આ યોજનાના કારણે પહાડી વિસ્તારને થનારા નુકસાનની ભરપાઈ થઈ શકશે નહિ.