બૈજિંગ : ચીનમાં કોરોનાની ‘સુનામી’ ફેલાવાની આશંકા વધી ગઈ છે.ફુડાન યુનિવર્સિટીના અભ્યાસમાં અનુમાન કરવામાં આવ્યુ છે કે, જો પ્રતિબંધોમાં સખ્તાઈ નહીં રખાય તો, જુલાઈ માસમાં ચીનમાં ૧૬ લાખથી વધુના મોત થવાની આશંકા રહેલી છે.ફુડાન યુનિવર્સિટીએ આ નિવેદન તેવા સમયે પ્રસિદ્ધ કર્યું છે કે જ્યારે WHO દ્વારા પણ ચીનને ચેતવવામાં આવ્યુ છે કે તેણે ”ઝીરો-કોવિંદ” નીતિ સિવાય સંક્રમણ રોકવા માટે કોઈ અન્ય માર્ગ શોધી કાઢવો પડશે.તે સર્વવિદિત છે કે, ચીનના વુહાનમાંથી જ આ મહારોગનો પ્રારંભ થયો છે, અને તે ડિસેમ્બર ૨૦૧૯ થી શરૂ થયો હતો. ૨૦૨૦ સુધીમાં તો તે દુનિયાભરમાં ફેલાઈ ગયો હતો.ત્યારે ચીને દાવો કર્યો હતો કે, તેણે તે રોગ ઉપર કાબુ મેળવી લીધો છે.
તેવામાં ૨૦૨૧ માં કોરોના-૧૯ નો ‘ડેલ્ટા’ વેરિયન્ટ આવ્યો. ત્યારે ચીને દાવો કર્યો હતો કે તેણે ૧૪ દિવસમાં જ તેની ઉપર કાબુ મેળવી લીધો છે.પરંતુ હવે ઑમીક્રોન વેરિયન્ટે તેની હાલત ખરાબ કરી નાખી છે. ‘ડેલ્ટા’ના પ્રમાણમાં ઑમીક્રોન અનેકગણો ઝડપી સંક્રમિત થાય છે.આથી તેની ઉપર કાબુ મેળવવામાં ચીનના આરોગ્ય-અધિકારીઓને પરસેવો છૂટી જાય છે.સૌથી ખરાબ સ્થિતિ શાંઘાઈની છે.ત્યાં ૬ સપ્તાહનું ‘લોક-ડાઉન’ જાહેર કરાયું છે.ચીનમાં ૨૪ કરોડથી વધુ લોકોને લોકડાઉનમાં રહેવું પડયું છે.જ્યારે ૪૦ કરોડ લોકો તેવા છે કે, જેમને એક યા બીજા પ્રતિબંધ નીચે રહેવું પડે તેમ છે.
ઑમીક્રોનની તબાહીએ ફુડાન યુનિવર્સિટીની ચિંતા વધારી લીધી છે.તેને ભીતિ છે કે, જો ધ્યાન નહીં રખાય તો જુલાઈ સુધીમાં દેશમાં ૧૬ લાખથી પણ વધુ મોત થવાની ભીતિ છે. પરિણામ તે પણ આવશે કે અંતિમસંસ્કાર માટે (કબર માટે) પણ જગ્યા ઓછી પડશે.આ પરિસ્થિતિ નિવારવા, વેક્સિનેશનની ઝડપ વધારવી જ રહી. ૬૦ વર્ષથી વધુ વયના લોકો જેઓને રસી મુકાઈ નથી તેમને મૃત્યુભય વધુ છે. ચીનમાં ૬૦ વર્ષથી વધુ વયના ૫ કરોડ લોકો તેવા છે કે, જેમણે ‘રસી’ લીધી નથી.સત્તાવાર આંકડા જણાય છે કે ઑમીક્રોનનું મોજું તેજ થશે.તેથી ૧૧.૨૨ કરોડ દર્દીઓ થશે, જે પૈકી ૫૧ લાખથી વધુને હોસ્પિટલોમાં દાખલ કરવા પડશે.ફુડાન યુનિવર્સિટીના તજજ્ઞાો જણાવે છે કે ઑમીક્રોનનાં મોજાંથી ચીનના આરોગ્ય-તંત્ર ઉપર ૧૬ ગણો બોજો વધી જશે.


