દિલ્હી,તા.2.એપ્રિલ 2022,શનિવાર : ભારત અને ઓસ્ટ્રેલિયાએ આર્થિક સબંધો વધારવા માટેના કરાર પર સહી કરી છે.જેના ભાગરૂપે હવે ઓસ્ટ્રેલિયા ભારતમાંથી ટેક્સટાઈલ,ચામડુ,ઘરેણા તથા રમત ગમતના સામાન સહિતની 95 પ્રોડકટસને ડ્યુટી ફ્રી એકસેસ આપશે.આમાં એવી પણ ઘણી પ્રોડકટસ સામેલ છે જેના પર હાલમાં ઓસ્ટ્રેલિયા ચાર થી પાંચ ટકા ડ્યુટી લગાવે છે.
દસ વર્ષની મહેનત બાદ બંને દેશો વચ્ચે આ પ્રકારનો કરાર થયો છે.આ કરારના કારણે બંને દેશોની ચીન પરની નિર્ભરતા ઓછી થઈ જશે.આજે ભારતના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર મંત્રી ડેન ટેહને કરાર પર સહી કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન યોજાયો હતો.જેમાં પીએમ મોદી અને સ્કોટ મોરિસન પણ હાજર રહ્યા હતા.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાના સબંધોમાં આ એક મહત્વનો મુકામ છે.બંને દેશો વચ્ચેના સબંધો આ કરારના કારણે વધારે ગાઢ બનશે.પિયુષ ગોયલે કહ્યુ હતુ કે, બંને દેશો વચ્ચેનો વેપાર આ કરારના પગલે 27 અબજ ડોલરથી વધીને આગામી પાંચ વર્ષમાં 50 અબજ ડોલર પર પહોંચશે.


