નવી દિલ્હી, તા. 11 માર્ચ 2022, શુક્રવાર : મણિપુર,પંજાબ, ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ અને ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.
આ 5 રાજ્યોમાં મળેલા આકરા પરાજયના કારણે કોંગ્રેસના 23 નેતાઓનું જૂથ એટલે કે, G-23 હવે એક બેઠક યોજવા જઈ રહ્યું છે જે આગામી 48 કલાકની અંદર જ મળશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ પોતાનું નામ ન બતાવવાની શરતે આ બેઠક અંગે જાણકારી આપી હતી.
મે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્રની સત્તા સંભાળી હતી ત્યારે કોંગ્રેસના પદચિન્હ 9માંથી માત્ર 2 રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં સમેટાઈ ગયા હતા.ત્યારે કોંગ્રેસ હવે ફરી એક વખત વિશ્વસનીયતા અને નેતૃત્વના સંકટ સામે ઝઝૂમી રહી છે.પાર્ટીએ વર્ષ 2014 બાદ યોજાયેલી 45 ચૂંટણીઓમાંથી માત્ર 5માં વિજય મેળવ્યો છે.આ વખતે પરિણામો પહેલાથી જ સૌને કોંગ્રેસમાં આંતરિક ઉથલ-પાથલનો આભાસ હતો. ત્યારે હવે 5 રાજ્યોમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં બગાવતના સૂર ઉઠવા લાગ્યા છે અને ગુલામ નબી આઝાદના ઘરે G23 નેતાઓની બેઠક યોજાશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, ‘તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અને પાર્ટી જે રીતે નીચે પડી રહી છે તેનાથી પરેશાન G-23 નેતાઓએ આગામી 48 કલાકમાં બેઠક બોલાવી છે.’
ઉલ્લેખનીય છે કે,વર્ષ 2020માં કોંગ્રેસના 23 નેતાઓના જૂથે સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. તેમાં CWCના સદસ્યો,તેના અધ્યક્ષ અને પાર્ટીના સંસદીય બોર્ડને ચૂંટણી સહિત અનેક સંગઠનાત્મક સુધારાઓની માગ કરી હતી.
જલ્દી જ યોજાશે CWC બેઠક
કોંગ્રેસ મહાસચિવ રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે,પાર્ટીના પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે જલ્દી જ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વધુમાં જણાવ્યું કે,અમે ચૂંટણી પરિણામોથી નિરાશ જરૂર થયા છીએ પરંતુ હતાશ નથી થયા.અમે ફક્ત ચૂંટણી હાર્યા છીએ,હિંમત નથી હાર્યા.

