ચૂંટણીમાં પાટીદારોને ભાજપ વિરૂદ્ધ ઉશ્કેરતી ન્યૂઝ ચેનલની ફેક ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાઈરલ

HM News
2 Min Read

– ચૂંટણીમાં પાટીદારોને ભાજપ વિરૂદ્ધ ઉશ્કેરતી ફેક પોસ્ટ વાઈરલ

અમદાવાદ,તા.30 નવેમ્બર 2022,બુધવાર : વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાટીદાર સમાજના લોકો ભાજપ વિરૂદ્ધ ઉશ્કેરાય તેવી ફેક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવી હતી. આરોપીએ ન્યુઝ ચેનલની બે વર્ષ અગાઉ તૈયાર થયેલા ફેક ન્યુઝ પ્લેટ ફરતી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પાટીદાર સમાજ વિરૂદ્ધ બોલ્યાના બોગસ ન્યુઝ વાઈરલ કર્યા હતા.આ ફેક ન્યુઝ પ્લેટ વાઈરલ કરનાર શખ્સનો ઈરાદો ભાજપ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી વિરૂદ્ધ પાટીદાર સમાજને ઉશ્કેરવાનો હતો.જો કે, આ ફેક ન્યુઝની જાણ થતા પ્રદેશ ભાજપ મીડિયા ટીમના સદસ્યએ સરખેજ પોલીસ સ્ટેશનમાં વાસુદેવ પટેલ વિરૂદ્ધ સોમવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વિરૂદ્ધ પાટીદારોને ઉશ્કેરવાનો પ્રયાસ કરનારની ધરપકડ

ભાજપ પ્રદેશ મીડિયા સેલના સદસ્ય હિરેનભાઈ ભાઈલાલભાઈ કોટક (ઉં,૫૩) રહે, ઓર્ચીડ હેવન,શેલાએ વાસુદેવ પટેલ (ઉં,૬૮)રહે, પારૂલ બંગલો,સિલ્વર ઓક કોલેજ સામે,ગોતા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીએ સોમવારે સવારે તેઓનું ફેસબૂક એકાઉન્ટ ચેક કરતા તેમાં ફેસબૂક એકાઉન્ટ ધારક વાસુદેવ પટેલ દ્વારા એક પોસ્ટ વાઈરલ કરી હતી.જેમાં ન્યુઝ ચેનલની ફેક ન્યુઝ પ્લેટ બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ જે શબ્દો ના બોલ્યા હોય તેવા શબ્દો લખેલું લખાણ પાટીદાર સમાજને ઉશ્કરવાના પ્રયાસરૂપે વાઈરલ કરવામાં આવ્યું હતું.

ફરિયાદીના ધ્યાન પર આ બાબત આવતા તેઓએ સરખેજ પોલીસ સ્ટેશનમાં વાસુદેવ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેમાં ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી દરમિયાન આ ફેક ન્યુઝ પ્લેટ કોઈએ તૈયાર કરી વાઈરલ કરી હતી.જે ફેક ન્યુઝ પ્લેટ ફરીવાર વાસુદેવ પટેલે વાઈરલ કરીને વાસુદેવભાઈએ બીજેપીના કાર્યકરો,સમર્થકો અને તમામ નાગરિકોની લાગણી દૂભાવ્યાનો ઉલ્લેખ ફરિયાદમાં છે.સરખેજ પોલીસે વાસુદેવ પટેલની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ બે વર્ષ પહેલા આ મામલે ગુનો દાખલ થયો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *