પટણા : ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે એક ટ્વીટમાં જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં બિહારમાં જન સુરાજ ઝુંબેશનો પ્રારંભ કરશે.પ્રશાંત કિશોરની આ જાહેરાતથી બિહારમાં રાજકીય ગરમાવો આવ્યો છે.પ્રશાંત કિશોર ખુદ સક્રિય રાજકારણમાં ઝંપલાવે એવી અટકળો શરૂ થઈ છે.છેલ્લાં થોડા દિવસથી પ્રશાંત કિશોર ચર્ચામાં છે.કોંગ્રેસ હાઈકમાન્ડને ૨૦૨૪ની ચૂંટણી માટે સૂચનો આપ્યા બાદ વાત બની નહીં એટલે પ્રશાંત કિશોરે ઈન્ટરવ્યૂ આપીને પોતાની વાત રજૂ કરી હતી.તે ઉપરાંત ભારતની રાજનીતિ બાબતે નિવેદનો પણ સતત આપવાનું શરૂ કર્યું હતું.એ દરમિયાન પીકેના ટૂંકા નામથી ઓળખાતા આ ચૂંટણી વ્યૂહરચનાકારે પોતાના ગૃહરાજ્ય બિહારમાં ધામા નાખ્યા હતા.પ્રશાંત કિશોર બિહારમાં જોવા મળ્યા બાદ અનેક અટકળો શરૂ થઈ હતી.જદયુ કે આરજેડી માટે કામ કરશે એવી અટકળો વચ્ચે પ્રશાંત કિશોર એક ટ્વીટ કરીને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો.
પ્રશાંત કિશોરે ટ્વિટરમાં લખ્યું હતું : ‘હવે લોકશાહી માટે નિસ્બતી ભાગીદારીની જરૂરિયાત જણાઈ રહી છે.૧૦ વર્ષની ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકેની કારકિર્દી પછી હવે લોકોને ઉપયોગી પોલિસી ઘડાય તે માટે પ્રયાસો કરવા છે.લોકશાહીના ખરા માસ્ટર્સ સામાન્ય નાગરિકો પાસે જવાનો સમય આવી ગયો છે. લોકોની સમસ્યા સમજવા માટે, લોકોની અપેક્ષા સમજવા માટે તેમના વચ્ચે જવું જરૂરી છે.તે માટે જન સુરાજ ઝુંબેશ ચલાવીશ. શરૂઆત બિહારથી કરીશ.’
પ્રશાંત કિશોરની આ ટ્વિટ પછી અનેક અટકળો શરૂ થઈ છે.કેટલાય લોકોએ એવી અટકળો કરી હતી કે પીકે ટૂંક સમયમાં રાજકીય પાર્ટી બનાવશે. તો કેટલાક લોકોએ તેને લોકભાગીદારીની એક ઝુંબેશ ગણાવી હતી.ઘણાં લોકો પ્રશાંત કિશોરની આ જાહેરાતને સક્રિય રાજનીતિમાં તેમનું પ્રથમ પગલું ગણાવી રહ્યા છે.પીકેની આ એક ટ્વીટની ચર્ચા બિહાર સહિત આખા દેશમાં થઈ રહી છે.પીકેની નજીકના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે પ્રશાંત કિશોર આખા બિહારની યાત્રા કરશે અને તેમની સમસ્યા સમજશે.એક રીતે બિહારમાં એક રાજકીય જાગૃતિનું આંદોલન શરૂ થશે અને ધીમે ધીમે એ આંદોલનને જ રાજકીય પાર્ટીમાં બદલી દેવાશે.ઘણાં રાજકીય નિષ્ણાતો પીકેની આ સક્રિયતાને કેજરીવાલની રાજકીય કારકિર્દી સાથે સરખાવી રહ્યા છે.