સુરત : ચેક રીટર્નના ત્રણ કેસોનો એક દિવસમાં સમાધાનથી નિકાલ ઃ સજા સામે અપીલ માટે 20 ટકા ડિપોઝીટ ન ભરતા જેલમાં મોકલાયો હતો ચેક રીટર્નના ત્રણ કેસોમાં સજાના હુકમ સામે અપીલ કરવા માટે ચેકની 20 ટકા રકમ ડીપોઝીટ કરવામાં નિષ્ફળ જનાર આરોપીને જેલ કસ્ટડીમાં મોકલાયા બાદ મીડીએશન સેન્ટરને કેસ રીફર કરતાં આજે સૌ પ્રથમ વાર જાપ્તા સાથે મીડીએશન સેન્ટરમાં હાજર રહેલા આરોપીના ત્રણેય કેસોનો મીડીએટર મારફતે સમાધાનથી એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો છે.
કામરેજ ખાતે જુની ગાડીની લે-વેચનો ધંધો કરતા હસમુખભાઈ અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા અને ગાડીની લે વેચ કરતાં ફરિયાદી રામ વિજય યાદવ પાસેથી વર્ષ-2018માં ગાડી ખરીદીના પેમેન્ટ પેટે ત્રણ ચેક આપ્યા હતા.તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ ટ્રાયલ કોર્ટે સુનાવણી પછી આરોપી હસમુખભાઈને દોષી ઠેરવી ત્રણ માસની કેદતથા ત્રણેય કેસોમાં અલગ અલગ રૃ.૩ લાખનું વળતર ફરિયાદીને ચુકવવા હુકમ કર્યો હતો.આ હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.પણ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કાનુની જોગવાઈ મુજબ આરોપીએ ચેકની રકમની 20 ટકા રકમ ડિપોઝીટ નહી કરાવતા કોર્ટે જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
દરમિાયન આગામી તા.26મી જુને યોજાનારી લોક અદાલમાં કેસોના ઝડપી નિકાલ થાય તેવા હેતુથી મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે એપલેટ કોર્ટોને વધુને વધુ કેસો મીડીએશન સેન્ટરને રીફર કરવા નિર્દેશ આપ્યો હતો.જેના પગલે એડીશ્નલ સેશન્સ જજ એસ.એચ.ગાંધીએ નીચલી કોર્ટના સજાના હુકમ સામે અપીલના કામે જેલવાસ ભોગવતા આરોપી હસમુખભાઈની ત્રણેય અપીલોને મીડીએશન સેન્ટરમાં રીફર કરીને પોલીસ જાપ્તા સાથે હાજર રહેવા હુકમ કર્યો હતો.જેથી માન્ય મીડીએટર ઈન્દ્રવદન ઉર્ફે બકુલભાઈ પી.જોબનપુત્રાએ આરોપી તથા ફરિયાદી વચ્ચે મીડીએશન પ્રક્રિયા હાથ ધરી રૃ.2.75 લાખમાં સમાધાનથી નિકાલ લાવી એક જ દિવસમાં ત્રણેય કેસોનો સમાધાન રિપોર્ટ મોકલી આપ્યો હતો.