મુંબઇ : નેપાલમાં થયેલી વિમાન દુર્ઘટનામાં થાણેના ચાર જણના મોત થયા હતા.મૃત્યુ પામેલાઓમાં થાણેના વિભક્ત દંપતી અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે.૫૪ વર્ષના અશોક ત્રિપાઠી અને ૫૧ વર્ષના વૈભવી બાંદેકર ત્રિપાઠી અદાલતના આદેશ બાદ છુટા પડયા હતા.અશોક ઓડીશામાં પોતાની કંપની ચલાવતા હતા જ્યારે વૈભવી મુંબઇના બીકેસીમાં નોકરી કરતા હતા.જો કે આ દંપતી અને તેમના બે બાળકો ધરાવતા પરિવારનો આ સંયુક્ત કાર્યક્રમ છેલ્લો બની રહ્યો હતો તમામના દુર્ઘટનામાં મોત થયા હતા.ાપૂરબાવડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી સોમાવણે અનુસાર બાંદેકરના બહેન અનુસાર દંપતિ અદાલતના આદેશ બાદ છૂટું પડયું હતું.બંને અલગ-અલગ રહેતા હતા.
અદાલતના આદેશ મુજબ દર વર્ષે દસ દિવસ બાળકો તેમના પિતા સાથે વિતાવી શકતા તેથી તેમણે નેપાળનો પ્રોગ્રામ બનાવ્યો હતો.દંપતીના બાળક ધનુષ (૨૪)અને રિતિકા(૧૫)વૈભવી સાથે રહેતા હતા.તેથી પિતા સાથે સપરિવાર નેપાળ યાત્રાને લઇ તેઓ ખૂબ જ ખુશ હતા.પહેલા તેઓ નેપાલના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરના દર્શન કર્યા હતા અને ૨૮મેના રોજ તેઓ બાયરોડ કાઠમંડુથી પોખરા આવ્યા હતા. રવિવારે સવારે ૬ વાગ્યે તેમનું વિમાન પોખરાથી જોમસોમ જવા રવાના થવાનું હતું પણ ખરાબ હવામાનને લીધે વિમાન મોડેથી ઉપડયું હતું અને સવારે ૯.૩૦ કલાક બાદ વિમાનનો સંપર્ક કપાઇ ગયો હતો.
વિમાન સાથેનો સંપર્ક કપાઇ જતા યંત્રણા સક્રીય બની ગઇ હતી નેપાલના ગૃહ વિભાગે અને નેપાલી આર્મીએ વિમાનની ભાળ મેળવવા રવિવારે હેલિકોપ્ટરોને કામે લગાવ્યા હતા.જો કે અંધારુ થવાને કારણે અને ખરાબ વાતાવરણને લીધે શોધ અભિયાન પડતું મૂકવામાં આવ્યું હતું.ત્યારબાદ આજે સવારે વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો જેમા થાણેના દંપતિ અને તેમના બે બાળકો સહિત વિમાનમાં સવાર તમામ ૨૨ જણના મોત થયા હતા.


