ગાંધીનગર તા.30 : મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં જમીન સંપાદનના 2013 ના કાયદા હેઠળ સંપાદન કરવામાં આવતી જમીનનું વળતર નક્કી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ 23 હેઠળ નિયત કરવામાં આવેલ વળતરની રકમથી કોઇ ખેડૂત ખાતેદાર અથવા હિતધારકોને અસંતોષ હોય તો કલમ 64 હેઠળ વધારાના વળતર માટે રેફરન્સ અરજી કરવાની જોગવાઇ છે.
અગાઉ જમીન સંપાદન કાયદામાં આવી વધારાના વળતર સંબંધી અરજીઓ જિલ્લા અદાલત સમક્ષ કરવાની જોગવાઇ હતી જેનો નિકાલમાં ઘણો સમય વ્યતિત થતો હતો. આ રેફરન્સ હવે નવા કાયદા હેઠળ ઓથોરીટી સમક્ષ કરવાના થાય છે. રાજયના ખેડૂતોને રેફ. અરજીઓના સંદર્ભે દૂર દૂરથી ગાંધીનગર અથવા અમદાવાદ સુધી આવવું નહીં પડે. આ ઓથોરીટીએ ફકત વળતર સંબંધી કેસોનો જ નિકાલ કરવાનો હોવાથી આવા કેસોનો ઝડપથી નિકાલ થશે.
મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે, શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ, 1976 અંતર્ગત રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજ્કોટ, જામનગર અને ભાવનગર શહેરી સંકુલોમાં ટોચ મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા ઇસમોએ ભરેલ ડેકલેરેશન ફોર્મ સંબંધે કલમ – 8(4) થી કલમ – 10(6) સુધીની કાયદાની કાર્યવાહી હાથ ધરી વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો સરકાર હસ્તક કબજો સંભાળવામાં આવતો હતો. અત્યાર સુધી જે કેસોમાં કાયદાની કલમ – 10(3) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય અને વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેવા કેસો સાથે સંબંધીત જ્મીનોને ના વાંધા પ્રમાણપત્ર આપવાની / આખરી નિર્ણય કરવાની કાર્યવાહી સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવતી હતી.
મહેસૂલી ક્રાંતિ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા 22 જેટલી સેવાઓ ઓનલાઇન કરીને વહીવટી કાર્ય પદ્ધતિમાં ઝડપ અને પારદર્શક્તા લાવવામાં આવી છે. તે સંદર્ભે ના વાંધા પ્રમાણપત્ર આપવાની કામગીરીમાં ઝડપ અને સરળતા માટે રાજ્ય સરકારે સત્તાનું વિકેંદ્રીકરણ કરીને કલેકટરશ્રીઓને નીચે મુજબની વધુ સત્તા આપવા માટે નિર્ણય કરેલ છે.
અધિનિયમ હેઠળ જે કેસોમાં કાયદાની કલમ 10(5) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય પરંતુ વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેમજ કોઇ કોર્ટ લીટીગેશન થયેલ ન હોય તેવા કેસો અધિનિયમની કલમ 20 અન્વયેની ખેતી મુક્તિ અને કલમ 21 અન્વયેની આવાસ યોજના અંગેના પ્રકરણોમાં જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય અને કોઇ કોર્ટ કેસ થયેલ ન હોય ઉપર મુજબના બન્ને કેસોમાં આખરી નિર્ણય કરવાની સત્તા કલેકટરોને આપવામાં આવી છે.
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.17.07.2020 થી લોકઅદાલત જેવું તંત્રની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. જે અન્વયે મહેસૂલ વિભાગના 33 જિલ્લા કલેકટર કક્ષાએ, સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક , સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ તથા નોંધણી સર નિરીક્ષકની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ 36 ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, જિલ્લા કક્ષાની સમિતિઓમાં જે તે જિલ્લાના કલેકટર તથા નજીકના અન્ય બે જિલ્લાના કલેકટરશ્રીઓ એમ કુલ 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રીના ખાતાની સમિતિમાં સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક , સુપ્રી.ઓફ સ્ટેમ્પસ તથા જિલ્લા કલેકટર ગાંધીનગર એમ કુલ 3 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ખાતાના વડાઓ હસ્તકના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસમાં જો વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીને હળવી કે ભારે શિક્ષા માટે આરોપનામું બજવેલ હોય ત્યારે તેઓ આરોપનામા સંબંધમાં તેમની રજુઆત ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા લેવાયેલ નિર્ણય જો કર્મચારીને માન્ય હોય તો તે મુજબ હુકમો કરીને કેસોના નિકાલ કરી શકે છે. આમ, તેમના કેસનો શિસ્ત અધિકારી અને કર્મચારીની પરસ્પરની સંમતિથી સત્વરે નિકાલ આવી શકે અને કર્મચારીને ખાતાકીય તપાસની લાંબી પ્રક્રીયામાંથી મુક્તિ મળી શકે.