– લોકોનાં કામો થાય છે કે નહીં, વહીવટમાં કઇ ખામી છે, તેવા 50 જેટલા પ્રશ્નો પૂછી સરકારને રિપોર્ટ કરવાનો રહેશે
ગાંધીનગર : ગુજરાતના તમામ જિલ્લાની પંચાયતો તેમજ તાલુકા પંચાયતોની કચેરીનું નિરીક્ષણ કરવા માટે રાજ્ય સરકારે ઇન્સ્પેક્શન સેલની રચના કરી છે.આ સેલમાં કામ કરનારા અધિકારીઓએ પ્રત્યેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં જઇને લોકોના કામો થાય છે કે કેમ, સરકારના આદેશનું પાલન થાય છે કે નહીં તેમજ કર્મચારીઓ સમયસર હાજરી આપે છે કેમ તે અંગેની તપાસ કરીને તેમનો રિપોર્ટ આપશે.
નિરીક્ષણ અધિકારીએ તપાસમાં કુલ 50 પ્રશ્નો પૂછવાના રહેશે. રાજ્યના પંચાયત વિભાગના એક આદેશ પ્રમાણે જિલ્લા અને તાલુકા પંચાયત ઉપરાંત આ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ,ગ્રામ વિકાસ હસ્તકની કચેરીઓનું નિરીક્ષણ કરવાનું રહેશે.ગ્રામ્ય વિસ્તારમાં આવેલી આ કચેરીઓમાં વ્યવહારીક રીતે કાર્યપદ્ધતિનું પાલન,કર્મચારીઓ માટેની સુવિધા,લોકભોગ્ય યોજનાઓનું અમલીકરણ સહિતના મુદ્દાઓ આ નિરીક્ષણમાં આવરી લેવામાં આવ્યા છે.
આ ઇન્સ્પેક્શન સેલના અધિકારીઓ દ્વારા સપ્તાહમાં ચાર દિવસ ક્ષેત્રિય કચેરીઓમાં નિરીક્ષણની કામગીરી થયા પછી તેઓએ તેમનો રિપોર્ટ પંચાયત વિભાગના અધિક મુખ્યસચિવને આપવાનો રહેશે.આ અધિકારીએ જે તે જિલ્લા કે તાલુકાની કચેરીમાં કોર્ટ કેસ ચાલતા હોય તો તેવા કેસોની વિગતો પણ પ્રાપ્ત કરવાની રહેશે.મહત્વની બાબત એવી છે કે નિરીક્ષકોએ જે તે જિલ્લા અને તાલુકા પંચાયતમાં ફાયર સેફ્ટિની સુવિધા છે કે નહીં તેની વિગતો પણ એકત્ર કરવાની રહેશે.
પંચાયત વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કચેરીમાં કરાર આધારિત ફિક્સ પગારથી કે આઉટસાર્સિંગથી કામ કરતા કર્મચારીઓની વિગતો, કર્મચારીઓ માટેની પ્રાથમિક સુવિધાઓ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિમાં સંડોવાયેલા અને જેમની સામે તપાસ ચાલતી હોય તેવા કર્મચારીઓની યાદી, તલાટી કમ મંત્રીની નિયમિત હાજરી છે કે નહીં, સરકારી લેણાંની વસૂલાત સહિતના મુદ્દાઓ અંગે નિરીક્ષણ અધિકારીએ રિપોર્ટ કરવાનો રહેશે.
ઇન્સ્પેક્શન સેલની નિરીક્ષણ ટીમમાં સંકલન માટે જિલ્લા પંચાયત વિભાગના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ)ની નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સેલ દ્વારા તમામ કચેરીઓનું નિરીક્ષણ કરવા અંગેનો કાર્યક્રમ ઓનલાઇન પોર્ટલ પર જાહેર કરવો પડશે. ઇન્સ્પેક્શન સેલ દ્વારા જિલ્લાઓમાં ચીટનીશ અને નાયબ ચીટનીશ કક્ષાના પસંદગીના અધિકારી કે કર્મચારીઓનો એક પુલ બનાવવામાં આવશે જેઓને નિરીક્ષણ અંગેની ટૂંકી તાલીમ પણ અપાશે.
પ્રજાનો આક્રોશ સમજો તો ય ખબર પડી જાય કે ‘વહીવટ’ કેવો છે ?
સચિવાલયથી માંડીને તાલુકા સ્તરની સરકારી ઓફિોસમાં વહીવટ કેવો ચાલે છે તે તો પ્રજાના પડતર કામોની યાદી પરથી જ ખબર પડી જાય છે. આમ છતાં સરકારને જાણે ખબર જ ન હોય તેમ સરકારી કચેરીઓના વહીવટમાં શું સુધારો કરવો તેવા મુદ્દા લઈને વખતોવખત જાતજાતના ઇન્સ્પેક્શન સેલ, કમિટીઓ રચવાની જાહેરાતો થતી રહે છે.
સમય આવે ખબર પડે છે કે આવાં સેલ અને કમિટીઓનો વહીવટ પણ જેની તપાસ રાખવાની છે તે કચેરીઓના વહીવટ જેવો જ થઈ ગયો છે. ટૂંકમાં કોઈક અધિકારીઓને ઠેકાણે પાડવા નવા નવા સેલ, કમિટીઓ રચાતી રહે છે. પ્રજાને એની સાથે કોઈ નિસ્બત હોતી નથી. ખરેખર તો કામ નહિ કરતા નિષ્ક્રિય અધિકારીઓ- કર્મચારીઓ સામે કાર્યવાહી થાય તો ય ઘણું છે.