નવી દિલ્હી : તા.૨૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરમાં શુક્રવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારીને સંબોધન કરતાં કાર્યકરોને વિકાસના મુદ્દે અડગ રહેવા અને મીડિયામાં બફાટ નહીં કરવાની સલાહ આપી હતી. કોઈ તમારું ધ્યાન ભટકાવવાનો લાખ પ્રયાસ કરે પરંતુ તમારે વિકાસના મુદ્દા પર ટકી રહેવાનું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપતા કહ્યું કે, જીભને લપસવા દેવાની નથી.હું તમને સાવધ કરું છું કે કેટલાક પક્ષોની ઈકો સિસ્ટમ દેશના મુખ્ય મુદ્દાઓથી તમને ભટકાવવામાં કાર્યરત છે.પરંતુ આપણે આવા પક્ષોની જાળમાં ફસાવાનું નથી.આપણે દેશના વિકાસના વિષયો પર જ ટકી રહેવાનું છે.હું જાણું છું કે તમે ૨૦૧૪ પછી આપણી સરકારના સારા કામો અંગે વાત કરશો તો તે અખબારોમાં પહેલા પાના પર નહીં છપાય.તમે આયુષ્માન કાર્ડ અને જનઔષધિ કેન્દ્રોની વાત કરશો તો કદાચ મીડિયામાં નહીં આવે.તમે સારા કામ કરશો તો હેડલાઈન નહીં બને,પરંતુ તેમ છતાં આપણે મુદ્દાઓ પર ટકી રહેવાનું છે.
વડાપ્રધાને ઉમેર્યું કે,ભાજપની આજે ૧૮ રાજ્યોમાં સરકાર છે.૪૦૦થી વધુ સાંસદો અને ૧૩૦૦થી વધુ ધારાસભ્યો છે.આ સફળતા જોઈને સ્વાભાવિક જ આપણને આરામ કરવાનું મન થતું હશે.પરંતુ આપણે સત્તા જ ભોગવવાની હોત તો ભારત જેવા વિશાળ દેશમાં આટલું મેળવીને આપણે આરામ કરવા લાગ્યા હોત.પરંતુ આપણને આ રસ્તો મંજૂર નથી.આપણે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.સામાન્ય લોકોને જાગૃત કરવાના છે અને દેશને વિકાસના માર્ગે નિરંતર લઈ જવાનો છે.તેમણે ઉમેર્યું હતું કે,આ દેશ માટે જીવન ખપાવી દેનારા લોકોએ આપણને આરામ કરવાની મંજૂરી નથી આપી.મને આનંદ છે કે ભાજપના કાર્યકરો અવિરત પરિશ્રમમાં લાગેલા છે.જે પક્ષ પાસે આવા કાર્યકરો હોય તેને ગર્વ જરૂર થાય.આ મહિને કેન્દ્રમાં ભાજપ સરકારના આઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે.આ આઠ વર્ષ સંકલ્પ અને સિદ્ધિના રહ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે દેશના ૧૩૦ કરોડ લોકોની આકાંક્ષાઓ જાગી જાય તો સરકારોની જવાબદારી વધી જાય છે.લોકોની આકાંક્ષાઓ વધી જાય તો મહેનત કરવાનો જુસ્સો પણ વધી જાય છે.આ જુસ્સો જ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.આઝાદીના આ અમૃતકાળમાં ભાજપ માટે આ સમય દેશ માટે આગામી ૨૫ વર્ષનું લક્ષ્ય નિશ્ચિત કરવાનો છે.આપણું દર્શન પંડિત દિનદયાળ ઉપાધ્યાયનો એકાત્મ માનવવાદ છે અને આપણો મંત્ર સબકા સાથ સબકા વિકાસ છે.
જીભ લપસવા દેવાની નથી, વિકાસના મુદ્દાને છોડવાનો નથી : વડાપ્રધાન મોદી
Leave a Comment