મુંબઈ : તાજેતરમાં પોતાની પુત્રી શીના બોરાના કથિત હત્યાના કેસમાં જામીન મેળવનાર ભૂતપૂર્વ મીડિયા બેરોન ઈંદ્રાણી મુખરજીએ તેની સામે જેલમાં રમખાણ મચાવવાના અને પોલીસને તેમની ફરજ બજાવતા અટકવવાના આરોપસર દાખલ થયેલી અન્ય એફઆઈઆર રદ કરવા હાઈ કોર્ટમાં અરજી કરી છે.શીના બોરાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા બાદ મુખરજી ૨૦મી મેના રોજ ભાયખલા જેલમાંથી બહાર નીકળી હતી.તેણે લગભગ સાડા છ વર્ષ જેલમાં વીતાવ્યા છે. મુખરજીએ તેની સામે ૨૪ જૂન,૨૦૧૭ના રોજ ભાયખલા જેલમાં થયેલા રમખાણોના પરિણામે મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર રદ કરવા ૧૯મી મેના રોજ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.મુખરજીની જેલની સહયોગી મંજૂલી શેટયેનું જેલના અધિકારીની મારપીટ બાદ મોત થતા જેલમાં તોફાન થયું હતું.મુખરજી સામે જેલની અન્ય સહયોગીઓને ઉશ્કેરીને બૂમરાણ મચાવવા અને પોલીસ અધિકારીઓ સામે પ્લેટ અને ઘડા ફેંકવા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ છે.
હાઈ કોર્ટને કરાયેલી અરજીમાં મુખરજીએ દાવો કર્યો છે કે તેને ત્રાસ દેવા અને સતામણી કરવાના આશયથી આ કેસમાં સંડોવવામાં આવી છે.મુખરજીએ વધુમાં જણાવ્યું છે કે આ કથિત રમખાણમાં તેની કોઈ સંડોવણી નહોતી તેમજ જેલમાં બિનજરૃરી ઉપદ્રવ મચાવવામાં તેનો કોઈ હાથ નહોતો.અરજીમાં દાવો કરાયો છે કે તેની સામે બોગસ અને પાયાહીન આક્ષેપો કરાયા છે અને તેણે આ ધમાલમાં કોઈ વિશિષ્ટ ભૂમિકા ભજવી હોવાનો કોઈ ઉલ્લેખ નથી કરાયો.હાઈ કોર્ટની વેબસાઈટ અનુસાર આ અરજી પર ૧લી જૂને સુનાવણી થશે.