મુંબઇ : આ વર્ષનો ગણેશોત્સવ ખાસ છે.કારણ કે આ વર્ષે કોઇપણ જાતના પ્રતિબંધ વગર ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવશે.મહત્વની વાત એ છે કે ગણેશમૂર્તિઓની ઊંચાઇ બાબતે કોઇ મર્યાદા રખાઇ નથી.તેથી વિવિધ ગણેશમંડળોમાં ઊંચી મૂર્તિઓ માટે સ્પર્ધા જોવા મળશે.રાજ્યની સહુથી ઊંચી ૩૮ ફૂટની ગણેશજીની પ્રતિમા મુંબઇચા મહારાજની છે.જે પરશુરામ રૃપમાં બનાવવામાં આવી છે.ચાર માળ જેટલી ઊંચી ભવ્ય મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.ગિરગાવનું ખેતવાડી ગણેશોત્સવ મંડળ ઊંચી ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવા માટે પ્રખ્યાત છે.આ વર્ષે પણ ત્યાં ૩૮ ફૂટની ઊંચી મૂર્તિનું આગમન થયું છે.પરશુરામ રૃપી ગમેશમૂર્તિ સમક્ષ સજાવટ તરીકે ગુરુકુળનું દ્રશ્ય પણ સર્જાશે.તેવી જ રીતે મુંબઇના રાજા એવી ખ્યાતિ પામેલા લાલબાગની ગણેશગલ્લીના ગણપતિની મૂર્તિ અને સુશોભન ખૂબ જ આકર્ષક રહેશે. અહીં ૨૨ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના થઇ છે.અને કાશી વિશ્વનાથ મંદિરનું દ્રશ્ય સુશોભન તરીકે ઉભું કરાયું છે.લાલબાગ સાર્વજનિક મંડળ આ વર્ષે ૯૫ વર્ષમાં પ્રવેશ કરશે તેથી વિશેષ સજાવટ અહીંના મંડળમાં જોવા મળશે.
રવિવારથી ગણેશ પંડાલોના ભવ્ય મૂર્તિઓનું આગમ શરૃ થઇ ગયું છે.
પરશુરામ સ્વરૂપની મૂર્તિ વિશે માહિતી આપતાં મંડળના કાર્યકારી અધ્યક્ષ ગણેશ વડવેલે કહ્યું હતું કે ‘મુંબઈ સહિત કોંકણની આ ભૂમિ પરશુરામની ભૂમિ ગણાય છે.એથી અમે આ વર્ષે એ સ્વરૂપમાં ગણપતિની સ્થાપના કરી રહ્યા છીએ.અમે દર વર્ષે આપણી સંસ્કૃતિ કે ઇતિહાસની થીમ લઈને એ મુજબ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરતા હોઈએ છીએ.આજનાં બાળકો આખો દિવસ મોબાઇલમાં રચ્યાંપચ્યાં રહે છે.તેઓ આપણી સંસ્કૃતિને સમજે અને ઇતિહાસ જાણે એ માટેના અમારા પ્રયાસ હોય છે. અમે પરશુરામ સ્વરૂપના બાપ્પાની સ્થાપના કરીને પરશુરામના ગરુકુળ અને કોંકણને કુદરતે આપેલી લીલીછમ ધરતીનો અનુભવ કરાવે એવું ડેકોરેશન કરવાના છીએ.અમારા ૪૦૦થી ૫૦૦ કાર્યકરોની અલગ-અલગ ટીમ બનાવી છે જે દિવસ-રાત અલગ-અલગ સમયે સેવા આપતી હોય છે.અમે વર્ષોથી ઊંચી મૂર્તિની સ્થાપના કરતા હોઈએ છીએ.’