નવી દિલ્હી : તા.29 જૂન 2022,બુધવાર : રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારના રોજ એક દરજીની ધોળા દિવસે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.ઉપરાંત હત્યારાઓએ તાલિબાનોની માફક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો.ત્યારે ટોચની મુસ્લિમ સંસ્થા જમીયત ઉલમા-એ-હિંદે ઉદયપુર હત્યાકાંડની ટીકા કરી છે.જમીયત ઉલમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હકીમુદ્દીન કાસમીએ ઉદયપુર ખાતેના નૃશંસ હત્યાકાંડની ટીકા કરીને તેને દેશના કાયદા અને ધર્મનિ વિરૂદ્ધનો ગણાવ્યો છે.
કાસમીએ જણાવ્યું કે,જેણે પણ આ ઘટનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે તેને કોઈ પણ રીતે યોગ્ય ન ઠેરવી શકાય.તે દેશના કાયદા અને અમારા ધર્મની વિરૂદ્ધમાં છે.આપણા દેશમાં કાયદો-વ્યવસ્થા છે.કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી.આ સાથે જ તેમણે દેશના તમામ નાગરિકોને પોતાની લાગણીઓ પર સંયમ રાખવા અને દેશમાં શાંતિ જાળવી રાખવા માટે વિનંતી કરી હતી.ઉલ્લેખનીય છે કે, ઉદયપુરમાં એક દરજીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં રોષ વ્યાપ્યો હતો.રાજસ્થાન સરકારે મંગળવારના રોજ આગામી 1 મહિના માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી હતી.રાજ્ય સરકારે આ સમગ્ર કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી છે ઉપરાંત મંગળવારના રોજ સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.