ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે.ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કેટલાક લોકો જરૂરિયાત મંદ દર્દીના પરિવારના સભ્યોની મજબૂરીનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરતા હોય છે.ત્યારે આવો જ એક પ્રયાસ રાજકોટના ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને હવે તેના વિરોધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું છે કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે પૈસા પડાવતો ભાજપનો નેતા 15 દિવસમાં સરેન્ડર નહીં કરે તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવશે અને તેની મિલકત પણ જપ્ત કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના સંક્રમિત દર્દી માટે ડૉક્ટર દ્વારા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લખી આપવામાં આવ્યુ હતું.ઇન્જેક્શનના નામે ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી અને તેના સાગરીત મયુર ગોસાઇએ દર્દીના સંબંધી પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ બાબતે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.મહત્ત્વની વાત છે કે, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15નો પ્રભારી છે.
આ ઘટનાની વિગત વાત કરવામાં આવે તો 8 એપ્રિલથી 12 એપ્રિલના સમયગાળા દરમિયાન રાજકોટમાં રહેતા જેન્તી શિશાંગીયાની ભાણેજ ઉર્મિલા કોરોના સંક્રમિત થયા હતા.તેથી તેમની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મયુર ગોસાઈ નામના વ્યક્તિએ જેન્તી શિશાંગીયાને ફોન કરીને પોઝિટિવ દર્દીને તાત્કાલિક ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શનની જરૂર હોવાનું જણાવ્યું હતું.મયુરે પોતાની ઓળખ સંજય ગૌસ્વામી તરીકે આપી હતી અને પોતે ડૉક્ટર હોવાનું જણાવ્યું હતું. જેન્તિ શિશાંગીયાએ ઇન્જેક્શન શોધવા માટે ખૂબ પ્રયાસો કર્યા પરંતુ તેમને ઇન્જેક્શન ન મળતાં તેમને ફરીથી મયુરને ફોન કરીને ઇન્જેક્શનની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ભાજપ નેતા અને મયુર ગોસાઈએ સાથે મળીને દર્દી ઉર્મિલાને ઇન્જેક્શન આપી દીધું હોવાનું કહીને 45 હજાર રૂપિયા આપવાનું ફરિયાદીને જણાવ્યું હતું.તેથી તેમના દ્વારા આ મામલે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન સમગ્ર મામલે ભાજપના નેતા સંજય ગોસ્વામી અને મયુર ગોસાઈનું નામ સામે આવ્યું.તેથી પોલીસ દ્વારા રાજકોટ શહેર ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, જો આ બંને આરોપીઓ 15 દિવસની અંદર નહીં પકડાય તો તેમની સામે CRPCની કલમ 82 અને 83 મુજબનો ગુનો નોંધી બંન્નેને પહેલા ભાગેડુ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તેમની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના નામે દર્દીના સગા પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવા મામલે આરોપી સંજય ગોસ્વામી હાલ ફરાર છે.