ટ્રાવેલ-ટૂરીઝમની 40 ટકા કંપનીઓને 3-6 મહિનામાં તાળા લાગી જશે

HM News
3 Min Read

નવી દિલ્હી : એક રિપોર્ટ અનુસાર દેશની ટ્રાવેલ અને ટૂરિઝમ સેક્ટરની 40 ટકા કંપનીઓને આગામી ત્રણથી છ મહિનામાં તાળા લાગી જશે તેવી ભીતિ છે.કોરોનાને પગલે બે મહિનાના લોકડાઉન અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ હોવાથી આ કંપનીઓને ભારે નુકસાન થયું છે.બીઓટીટી (BOTT) ટ્રાવેલ સેન્ટિમેન્ટ ટ્રેકર દ્વારા સાત નેશનલ એસોસિએશન્સ (IATO, TAAI, ICPB, ADTOI, OTOAI, ATOAI અને SITE) સાથે મળીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે,જેનું આ તારણ છે.રિપોર્ટ અનુસાર 36 ટકા કંપનીઓએ હંગામી ધોરણે શટડાઉન કરી દેવું પડશે.

81 ટકા ટ્રાવેલ-ટૂરિઝમ કંપનીઓની આવક 100 ટકા બંધ થઈ ગઈ છે અને 15 ટકા કંપનીઓની આવકમાં 75 ટકા સુધીનો ઘટાડો થઈ ગયો છે. બીઓટીટી ટ્રાવેલ સેન્ટિમેન્ટ ટ્રેકરે દેશભરમાં ટ્રાવેલ અને ટૂરિઝમ બિઝનેસના 2300થી વધુ માલિકો અને પ્રતિનિધિઓનો ઓનલાઈન સર્વે કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.રિપોર્ટ અનુસાર કોરોનાને કારણે આ સેક્ટરને મોટું નુકસાન થયું છે અને 40 ટકા કંપનીઓને ત્રણથી છ મહિનામાં તાળા લાગી જશે તેવું જોખમ છે.અન્ય 35.7 ટકા કંપનીઓએ પણ થોડાં સમય માટે તો બિઝનેસ બંધ જ કરી દેવો પડે તેવી સ્થિતિ છે.

38.6 ટકા કંપનીઓ નોકરીઓમાં છટણી કરશે અને અન્ય 37.6 ટકા કંપનીઓ પણ છટણી કરવા વિચારી રહી છે કારણ કે હજી પણ અનિશ્ચિતતાનો માહોલ છે.લોકડાઉન ખૂલ્યા પછી શું થશે તેની કોઈને ખબર નથી.ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.આ સેક્ટર સાથે જોડાયેલા લાખો લોકોને નોકરી સહિત ખાસ્સું નાણાકીય નુકસાન થયું છે.આ સેક્ટરમાં આગામી સમયમાં મોટાપાયે શટડાઉનની સંભાવના છે અને અનેક લોકોએ નોકરી ગુમાવવી પડશે તેવી સ્થિતિ છે.અનેક કર્મચારીઓના સમયસર પગાર નહીં થાય અને અનેકના કોન્ટ્રેક્ટ રદ થશે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ જ્યોતિ મયાલે કહ્યું હતું કે અત્યારે અભૂતપૂર્વ સ્થિતિ ઊભી થઈ છે અને સરકારે આ સેક્ટરને રાહત આપવી જોઈએ.

સર્વે અનુસાર આ સેક્ટરની 73 ટકા કંપનીઓએ પગારમાં કાપ, પગારમાં વિલંબ, કોન્ટ્રેક્ટ રદ કરવા જેવા પગલાં લઈ લીધા છે જ્યારે 67 ટકા કંપનીઓએ વિવિધ પ્રકારે ખર્ચ ઘટાડ્યો છે. 49 ટકા કંપનીઓએ મૂડીખર્ચ પડતો મૂક્યો છે. 41.6 ટકા કંપનીઓએ નવી સર્વિસ શરૂ કરી દીધી છે.
દરમિયાન 78.6 ટકા કંપનીઓએ સરકાર પાસે તાત્કાલિક રાહતની માગણી કરી છે. 68.2 ટકા કંપની એરલાઈન્સ પાસેથી કેન્સલેશનના રિફંડની માગણી કરી રહી છે. 67.7 ટકા કંપની જીએસટીમાં 5 ટકા ઘટાડો ઈચ્છે છે. 54.2 ટકા કંપનીઓ ટર્મ લોન પર ઈએમઆઈમાં 12 મહિનાનું મોરેટોરિયમ ઈચ્છે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *