અમદાવાદ : શુક્રવાર : પૂર્વ વિસ્તારમાં ઠક્કરનગર પાસે હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે,તેમાંયે ખાસ કરીને રાહદારીઓને ટક્કર મારી મોતને ઘાટ ઉતારીને વાહન ચાલકો નાસી જવાના બનાવો વધી રહ્યા છે.બાપુનગરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા વૃધ્ધ બે દિવસ પહેલા રાતે ઠક્કરનગર પાસે રોડ ક્રોસ કરતા હતા.આ સમયે લકઝરીનો ચાલક વૃધ્ધને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે બાપુનગરમાં સોમનાથ મંદિર પાસે ગુ.હા.બોર્ડના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ફૂલચંદભાઇ કાંતીલાલ પંચાલ(ઉ.વ.૭૪)તા.૨૨ના રોજ સવારથી ધંધાના કામે ગયા હતા રાતે ૯ વાગે ચાલતા ચાલતા ઠક્કરનગર ચમક ચૂનાની ફેકટરી પાસેથી રોડ ક્રોસ કરતા હતા.આ સમયે નરોડા તરફથી પૂર ઝડપે આવી રહેલી લકઝરીના ડ્રાઇવરે પોતાના વાહનના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા વૃધ્ધને ટક્કર મારીને નાસી ગયો હતો.
માથા સહિત શરીરના ભાગે ઇજાઓ થતાં ગંભીર હાલતમાં વૃધ્ધને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બીજીતરફ વૃધ્ધ ઘરે પહાંેચ્યા નહી હોવાથી પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી અને સિવિલમાં તપાસ કરતા વૃધ્ધ અવસાન પામ્યા હોવાની જાણ થઇ હતી.આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ભાગી ગયેલા લક્ઝરીના ડ્રાઇવરની શોધોખોલ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરી છે.