સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનની વિવાદિત આચાર્યા રોશની પટેલની બદલી જો ઉઘડતા સત્ર પહેલા ન કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા તાળાબંધી સહિત ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર ચિંચિત બની છે.તો બીજી તરફ રાજ્ય સરકારનાં એચ ટાટ આચાર્યો સરકારનાં નીતિ નિયમોનાં ધજીયા ઉડાવી રહ્યા છે.જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડાંગ જિલ્લાનાં ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનમાં જોવા મળી રહ્યુ છે.
ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશની પટેલનાં અણઘડ વહીવટનાં પગલે આદિવાસી બાળકોનાં શૈક્ષણિક ભાવિ પર પ્રશ્નાર્થ મુકાયો છે.શામગહાન શાળાનાં આચાર્યા રોશની પટેલ દ્વારા એડમિશન સહીત અન્ય શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોને શાળામાંથી પ્રમાણપત્ર કાઢી ન આપી મોટી હેરાનગતિ કરાઈ રહી હોવાની રાવ ઉઠી છે.ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશની પટેલ વાલીઓ,ગ્રામજનો સહિત આગેવાનો જોડે હર હંમેશા ઉદ્ધતાઈભર્યું વર્તન કરી પવિત્ર એવા શિક્ષણનાં વ્યવસાયને લજવી રહયા છે.
શામગહાન શાળાનાં આચાર્યા રોશનીબેન પટેલનાં અણઘડ વહીવટ અને બેજવાબદાર વર્તનનાં પગલે સ્થાનિક વાલીઓ સહિત ગ્રામજનો પણ તોબા તોબા પોકારી ઉઠ્યા છે.ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશની પટેલનાં અણઘડ વહીવટથી વાજ આવીને એક મહિના પૂર્વે ગ્રામજનોએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી સહીત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી બદલીની માંગ કરી હતી.વધુમાં શામગહાન પ્રાથમિક શાળાનાં વિવાદિત આચાર્યાની અન્યત્ર બદલી ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગ્રામજનો દ્વારા શાળાની તાળાબંધી સહિત ધરણા પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારી હતી.જે આવેદનપત્રને આજે એક મહિનો જેટલો સમય વીતી જવા છતાંય આ વિવાદિત આચાર્યા સામે કોઈ પગલા ન ભરાતા ઉઘડતા સત્રએ ગ્રામજનો દ્વારા તાળાબંધી સહિત ધરણા પ્રદર્શન કરાશેની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે તંત્ર આ વિવાદીત આચાર્યા સામે કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે.