નવી દિલ્હી તા.26 : દીવ-દમણ-દાદરાનગર હવેલી તથા લક્ષદીપના પ્રશાસક તરીકે કામ કરી રહેલા ગુજરાતના પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રફુલ પટેલ સામે સ્થાનિક સ્તરે લક્ષદીપમાં જબરો વિરોધ સર્જાયો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઇ રાષ્ટ્રપતિ સુધી પ્રફુલ પટેલ સામે ફરિયાદ થઇ છે અને તેમાં લક્ષદીપના ભાજપના નેતાઓ પણ રજુઆતમાં જોડાયા છે.
ગુજરાતમાં મોદી શાસન સમયે ગૃહરાજયમંત્રીની કામગીરી બજાવી ચૂકેલા પ્રફુલ પટેલ હાલ દીવ-દમણ-દાદરાનગર હવેલી તથા લક્ષદીપના પ્રશાસક તરીકે કામ કરે છે.પરંતુ તેઓ ખાસ કરીને લક્ષદીપમાં જન વિરોધી નિર્ણયો લઇ રહ્યા હોવાની ફરિયાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક મનાતા પટેલ પર કોરોના સંક્રમણ સમયે મહામારીના સંચાલનમાં પણ નિષ્ફળતા ઉપરાંત સ્થાનિય પરંપરા જે છે
તેના પર ખોટી રીતે ટીપ્પણી કરવાનો પણ આરોપ મૂકાયો છે અને તેમને આ પદ પરથી હટાવવાની માંગણી થઇ છે.તથા સેવ લક્ષદીપ હેશટેગથી ટવીટ્ટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે.હાલમાં જ લક્ષદીપના પ્રશાસને આ ટાપુ પર ગાય અને તેના વંશની હત્યા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે તેનો પણ વિરોધ થયો છે.આ ઉપરાંત અહીં શરાબનું વેચાણ વધારવાની નવી નીતિ બનાવવામાં આવી છે તેની સામે પણ સ્થાનિક લોકો ઉપરાંત સાંસદ મહમદ ફૈઝલએ પણ વિરોધ કર્યો છે તથા આક્ષેપ કર્યો છે કે સ્થાનિક લોકોની જે ખાવા પીવાની પરંપરા છે તેને બદલવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.આ અંગે કેરળમાં વિપક્ષના નેતા પી.ડી.સતીષનએ ગૃહમંત્રી અમિત શાહ સુધી ફરિયાદ પહોંચાડી છે અને તેમને પરત બોલાવી લેવાની માંગણી કરી છે.લક્ષદીપ વિસ્તારમાં 97 ટકા મુસ્લિમ વસ્તી છે અને અહીં શરાબ વગેરેનું સેવન અત્યંત વધે તેવા નિયમો કરવામાં આવ્યા છે.ઉપરાંત અહીં ગૌમાંસ પર પ્રતિબંધનો નિયમનો પણ વિરોધ છે.અહીંનો સમુદાય સદીઓથી ગૌમાંસનો ભોજનમાં ઉપયોગ કરે છે અને તેની સામે પ્રથમ વખત આ પ્રકારનો પ્રતિબંધ મૂકાયો છે.આ ઉપરાંત કોવિડના સંચાલનમાં પણ પ્રફુલ પટેલે ઘડેલા નિયમોનો વિરોધ થયો છે.