અમદાવાદ,ગુરુવાર, 12 મે,2022 : અમદાવાદમાં આ ઉનાળો આકરો પુરવાર થઈ રહ્યો છે.શહેરમાં ૧૩ અને ૧૪ મે દરમ્યાન મહત્તમ તાપમાન ૪૫ ડીગ્રીને પાર થવાની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.મ્યુનિ.એ અગાઉ જાહેર કરેલા હિટવેવ એકશન પ્લાનનો અમલ માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગ પાસે છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાન વધવાથી કેટલા લોકોને લૂ લાગી એ અંગે ચોકકસ વિગત નથી.
૭ એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટવેવ એકશન પ્લાનની જાહેરાત કરાઈ હતી.એક મહિના ઉપરાંતનો સમય પસાર થવા છતાં એકશન પ્લાનમાં જે પ્રમાણેની જાહેરાત કરાઈ હતી એ પૈકી અનેક સ્થળે ગ્રીનનેટ લગાવાઈ નથી.એ.એમ.ટી.એસ.અને બી.આર.ટી.એસ.ના બસ સ્ટોપ ઉપર પીવાના પાણીની સગવડ અને ઓ.આર.એસ.ના પેકેટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત છતાં તેનો પુરો અમલ કરાવવામાં મ્યુનિસિપલ તંત્ર નિષફળ રહેવા પામ્યુ છે.
શહેરમાં રેડ એલર્ટ દરમ્યાન તમામ બાંધકામ સાઈટ ઉપર બપોરે ચાર કલાક કામકાજ બંધ રાખવા કોન્ટ્રાકટરોને સુચના આપવાની જાહેરાત થઈ બાદમાં આ અંગેનો અમલ કોણ-કઈ રીતે કરાવશે એ અંગે પણ તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી.શહેરમાં મ્યુનિ.સંચાલિત ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત હોસ્પિટલો તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર તાપમાન વધતા મૂર્છીત થવાના કે લૂ લાગવાના કયાં અને કેટલા દર્દી આવ્યા એ અંગે સંબંધિત અધિકારીને પુછતા તેમણે કહ્યુ,બધુ નોર્મલ છે હવે લોકો જાગૃત થઈ ગયા છે.