બૃહનમુંબઈ મ્યુનિ. કૉર્પોરેશન (બીએમસી)નું સુકાન સંભાળી રહેલી શિવસેના કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટી હોટેલ્સ તથા હોર્ડિંગ્ઝના કૉન્ટ્રૅક્ટરોને કરવેરા અને વાર્ષિક ફીમાં કન્સેશન આપી રહી છે,પરંતુ તેણે વેન્ડર્સ અને લાઇસન્સીઝ જેવા અન્ય નાના હિસ્સાધારકો માટે સમાન પગલાંની રાજ્ય સરકારમાં તેના સાથી પક્ષો કૉન્ગ્રેસ,એનસીપી અને સપાની માગણી નામંજૂર કરી દીધી હતી.સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅને શુક્રવારે કોઈને પણ આ મુદ્દે બોલવા દીધા નહોતા,જેને પગલે ત્રણેય પક્ષોના સભ્યો મીટિંગમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
બીએમસી દર વર્ષે હોર્ડિંગ કૉન્ટ્રૅક્ટરોની અૅડ્વર્ટાઇઝિંગ ફીમાં દસ ટકાનો વધારો કરે છે.આ વર્ષે હોર્ડિંગ્ઝ પર કોરોના અંગે જાગૃતિના સંદેશા હતા.મુંબઈ હોર્ડિંગ્ઝ ઑનર્સ અસોસિએશનની વિનંતીને પગલે બીએમસીએ એપ્રિલથી જુલાઈ, ૨૦૨૦ના ચાર મહિનાના ચાર્જમાંથી મુક્તિ આપી હતી અને જાન્યુઆરી, ૨૦૨૧થી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી વાર્ષિક વધારો ઘટાડીને પાંચ ટકા કર્યો હતો.આ માટેની દરખાસ્ત શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરાઈ હતી.સમાજવાદી પાર્ટીના ગ્રુપ લીડર રઇસ શેખે આ મુદ્દે બોલવાની પરવાનગી માગી હતી,પણ અનેક વિનંતી કર્યા છતાં સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન યશવંત જાધવે ધ્યાન આપ્યું નહોતું અને ચર્ચા વિના દરખાસ્ત પાસ કરી દીધી હતી.વિપક્ષના નેતા રવિ રાજા અને એનસીપીનાં ગ્રુપ લીડર રાખી જાધવે શેખનું સમર્થન કર્યું હતું અને વોકઆઉટ કરી ગયાં હતાં.
શેખે જણાવ્યું હતું કે અમે કન્સેશનનો વિરોધ નહોતા કરી રહ્યા,પણ નાના લાઇસન્સધારકોની ફી પણ માફ કરવાની વિનંતી કરી હતી.મેં અત્યાર સુધીમાં અનેક વખત વિનંતી કરી,પણ શિવસેના નાના વેન્ડર્સની નહીં,માત્ર મોટા ખેલાડીઓની જ કાળજી લઈ રહી હોય તેમ જણાય છે.
રાજાએ જણાવ્યું હતું કે જો બીએમસીએ અૅડ્વર્ટાઇઝમેન્ટ્સ પરની ચાર મહિનાની ફી માફ કરી હોય તો તેમાં કોઈ સમસ્યા નથી,પણ તેઓ વાર્ષિક ફી વધારામાં પણ તેમને રાહત આપી રહ્યા છે.આ જ નિયમ સામાન્ય જનતા પર શા માટે લાગુ ન પાડી શકાય?