નવી દિલ્હી : તા.26 મે 2022,ગુરૂવાર : NIAની વિશેષ કોર્ટે અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં દોષી ઠેરવાયા બાદ આજીવન કેદની સજા સંભળાવી છે.યાસીન મલિકે તપાસ એજન્સીથી લઈને કોર્ટમાં પણ વડાપ્રધાન સાથેની મુલાકાત અંગે બડાશ હાંકી હતી.તેણે અનેક દાવપેચ રમવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કશું કામ ન આવ્યું અને આખી જિંદગી જેલના સળિયા પાછળ કાઢવી પડશે.અહિંસાની આડશમાં અનેક દશકાઓ સુધી લોહીયાળ ષડયંત્ર રચનારા યાસીન મલિકને એપ્રિલ 2019માં જ્યારે NIAની કસ્ટડીમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે પોતાની મહાનતા અંગેની બડાશો હાંકી હતી.તેણે કહ્યું હતું કે, ‘તમે લોકો ખૂબ ભાગ્યશાળી છો કે મને મળી રહ્યા છો અને મારા સાથે વાત કરી રહ્યા છો,મને તો વડાપ્રધાન મળે છે.’આ ઉપરાંત તેણે કસ્ટડીમાં અનેક પ્રકારના નાટકો પણ કર્યા હતા.તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું જેથી બીમાર પડી જાય.તેના કારણે NIAએ તેને 11 દિવસના બદલે માત્ર 8 દિવસમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવો પડ્યો હતો.પુછપરછ દરમિયાન તે પોતાની જાતને નિર્દોષ ગણાવતો રહ્યો હતો પરંતુ NIAએ પુરાવાઓની જે જાળ ગૂંથી હતી તેમાં તે ફસાઈ ગયો હતો.વર્ષ 2015માં જહૂર અહમદ શાહ વટાલી પાસેથી 10 લાખ રૂપિયાનું આતંકવાદી ભંડોળ તેના માટે મુસીબત બની ગયું હતું.
તપાસ એજન્સીના તે સમયના IG અનિલ શુક્લાની આગેવાનીમાં ટીમે વર્ષ 2015થી યાસીન મલિકને ઘેરવા માટે જાળ ગૂંથવાનું શરૂ કરી દીધું હતું. યાસીનનો કેસ હોવાથી સરકાર મજબૂત પુરાવાઓ ઈચ્છતી હતી અને માટે એજન્સીએ પહેલા નક્કર પુરાવા એકત્રિત કર્યા બાદ NIA કોર્ટમાં તેના વિરૂદ્ધ પ્રોડક્શન વોરન્ટ મેળવ્યું હતું.એવું કહેવાય છે કે,એપ્રિલ 2019માં જમ્મુ કાશ્મીરની હીરા નગર જેલમાંથી તેને જ્યારે દિલ્હી લઈ જવાઈ રહ્યો હતો ત્યારે સુરક્ષા દળોએ 3 કલાક સુધી રાહ જોવી પડી હતી.તેનું કારણ એ છે કે,તે જેલના દરેક સેલમાં જઈને કેદીઓને મળ્યો હતો અને સૌએ તેને હીરો હોય તે રીતે વિદાય આપી હતી.તેને દિલ્હીમાં પણ ઝંડા રોપવા કહેવામાં આવ્યું હતું પરંતુ દિલ્હી,સરકાર અને એજન્સી તેને આજીવન જેલમાં પૂરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.

