તલાટી કમ મંત્રીની પરિક્ષા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ અપૂર્ણ છે.મામલો છે 6 ઉમેદવારોનો.પરિક્ષામાં ઉર્તીણ થયા અને આખરી પસંદગી યાદીમાં ઉમેદવારોના નામ સામેલ થયા હોવા છતાં નિમણૂંક આપવામાં આવી નથી.સમગ્ર મામલો હાઈકોર્ટમાં જતાં નિમણૂંક કેમ અટકાવી છે ? તેવા સવાલ સાથે રાજ્ય સરકાર અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.
કેમ નિમણૂંક અપાઈ નથી ?
તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે રાજ્ય સરકારે ભરતી કરવાની જાહેરાત કરતા 6.64 લાખ જેટલા ઉમેદવારોએ ગત મે-2023માં પરિક્ષા આપી હતી.વડોદરાના ઈશાની શિંદેએ મે-2023માં યોજાયેલી તલાટી કમ મંત્રીની પરિક્ષા આપી ઉર્તીણ થયા.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે આખરી પસંદગી યાદી જાહેર કરી તેમાં ઈશાની શિંદે પણ સામેલ હતા. પરિક્ષામાં ઉર્તીણ થયેલા મહિલા ઉમેદવાર સહિત 6 લોકો સામે ફોજદારી કેસ ચાલતો હોવાનું કારણ આપી તેમની નિમણૂંક અટકાવી દેવામાં આવી હતી.
અરજદારની શું છે રજૂઆત ?
મહિલા અરજદારના વકીલ ઉત્કર્ષ દવેએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, માત્ર ફોજદારી ફરિયાદ હોવી એ કોઈ ખરાબ વ્યક્તિત્વનું પ્રમાણપત્ર નથી. FIR એ ફક્ત આક્ષેપ છે.રાજ્ય સરકારના અન્ય વિભાગોની ભરતી પ્રક્રિયામાં અલગ રીતે મૂલ્યાંકન થાય છે.રજૂઆત કરવાનો મોકો આપવામાં આવે છે.હાઈકોર્ટ સમક્ષ કરાયેલી સ્પષ્ટતા અને રજૂઆત બાદ સરકારને નોટિસ ફટકારવામાં આવી છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્ધારા કરાતી મૂલ્યાંકન પદ્ધતિને લઈને હાઈકોર્ટે વેધક સવાલ પૂછ્યો છે.