દિલ્હી : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતાં જોખમ વચ્ચે લોકોમાં દહેશત જોવા મળી રહી છે.આ દરમિયાન ગૃહ વિભાગે રાજ્યોને સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે તેમણે તેમના સ્તરે કોરોના અને નવા પ્રકારનો સામનો કરવા માટે તૈયારી કરવી જોઈએ.આમાં કેન્દ્ર તરફથી એવું પણ લખવામાં આવ્યું છે કે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યો તેમના સ્તરે પ્રતિબંધો નક્કી કરી શકે છે.
સોમવારે જારી કરાયેલા પત્રમાં ગૃહ વિભાગે લખ્યું છે કે,તમામ રાજ્યોએ યોગ્ય પગલાં લેવા જોઈએ અને તકેદારી રાખવી જોઈએ.રાજ્ય સરકારોને પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને નવા પ્રકાર વિશે સાચી માહિતી પહોંચાડવા માટે પણ કહેવામાં આવ્યું છે.ઓમિક્રોન દેશના 19 રાજ્યોમાં પહોંચી ગયું છે.દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 578 કેસ નોંધાયા છે.ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે ઓમિક્રોન અત્યાર સુધીમાં 116 દેશોમાં પહોંચી ચૂક્યું છે.
ગૃહ વિભાગે કહ્યું છે કે,રાજ્યએ તહેવારો દરમિયાન ભીડને રોકવા માટે નિયંત્રણો લાદવાનું પણ વિચારવું જોઈએ. સાથે જ કહેવામાં આવ્યું છે કે,ઓમિક્રોન ડેલ્ટા કરતાં 3 ગણું ઝડપથી ફેલાય છે,જેને કોરોનાને રોકવામાં નવો પડકાર માનવામાં આવી રહ્યો છે.લોકોને સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.કહેવામાં આવ્યું છે કે કોરોનાને રોકવા માટે જે નિયમો બનાવવામાં આવશે તેનું પાલન ન કરવા પર કલમ 50થી 61 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ દંડિત કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે,દિલ્હી,યુપી,હરિયાણા,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોએ નાઇટ કર્ફ્યુ,જાહેર કાર્યક્રમો અને અન્ય ઘણી બાબતો માટે નિયમો લાગુ કર્યા છે.દેશમાં સક્રિય કેસોની સંખ્યા સતત ઘટી રહી હોવા છતાં ઓમિક્રોનના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે.