અમદાવાદ : વેબ સીરિઝના ડાયરેક્ટરે તેમના સોશિયલ મીડિયામાં તિરંગાને અશ્લીલ રૂપે દર્શાવ્યો હતો એટલું જ નહીં તેમને અન્ય રાજકીય નેતાના પણ ખોટા ટ્વીટ કર્યા હતાં.આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ડાયરેક્ટર અવિનાશ દાસ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી.જો કે,સેશન્સ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે,આરોપીએ ગૃહમંત્રી અમિત શાહનો જૂનો ફોટો પોસ્ટ કરી તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કૃત્ય આચર્યું હોવાનો આરોપ છે.આરોપી સામાન્ય વ્યક્તિ કરતા કાયદો જાણતા હોવા છતાં કૃત્ય આચર્યું છે,આરોપી સામે તપાસ જારી છે ત્યારે આવા તબક્કે આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં.રાષ્ટ્રધ્વજની ગરિમાને હાનિ પહોંચે તે રીતે એક સ્ત્રીનું વિકૃત પેઇન્ટિંગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા અને કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવો ફોટો પોસ્ટ કરવા બદલ અવિનાશ દાસની સામે ગુનો દાખલ કરાયો છે.ત્યારે અવિનાશ દાસે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી.અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે,અવિનાશ દાસ દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી પોસ્ટ શેર કરાઈ હતી.પોલીસે તપાસ કરતાં સામે આવ્યું કે હાલમાં જ મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ઝારખંડના મહિલા IAS પૂજા સિંઘલ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો પાંચ વર્ષ જૂનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરી હતી.