મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે સોમવારે (1 મે)ના રોજ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મોટું નિવેદન આપ્યું છે.એનસીપીના નેતા જયંત પાટીલના નિવેદન પર તેમણે કહ્યું છે કે, અમે જનતા માટે કામ કરી રહ્યા છીએ,જેમને રાજનીતિ કરવી છે તે કરે.જનતા નક્કી કરશે કે મુખ્યપ્રધાન કોણ હશે.પોસ્ટર લગાવવાથી કોઈ મુખ્યપ્રધાન બનતું નથી.અમે જનતાના સેવક છીએ અને જનતાની સેવા કરતા રહીશું.વિપક્ષમાં સીએમ પદ માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે.મહાવિકાસ આઘાડી તીન તિગડા,કામ બિગડા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી NCP નેતા અજિત પવાર પાર્ટી છોડશે તેવી અટકળો ચાલી રહી છે.દરમિયાન, મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે દાવો કર્યો હતો કે પાર્ટીનું પ્રતિનિધિત્વ રાજ્યના આગામી મુખ્યપ્રધાન કરશે.એનસીપી ચીફ શરદ પવારના તાજેતરના નિવેદન બાદ આ દાવો મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે વધુ એક તિરાડ પેદા કરી શકે છે.પાટીલે કહ્યું કે, શરદ પવારના નેતૃત્વમાં એનસીપી ઝડપથી વધી રહી છે અને પાર્ટી મહારાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવનાર તમામ પક્ષોને પછાડી દેશે.
સાંગલીના ઇસ્લામપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પાટીલે કહ્યું હતું કે, હાલમાં મહા વિકાસ અઘાડી (MVA) અને NCPને રાજ્યભરના લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે.સંતોષ એ વાતનો ચકે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન એનસીપીના જ હશે.આ હવે લગભગ દરેક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.અમારી પાર્ટી ઝડપથી આગળ વધી રહી છે.મને ખાતરી છે કે NCP વડાના નેતૃત્વમાં NCP ભવિષ્યમાં રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવશે.
અજિત પવારે આ અટકળોને ફગાવી
જયંત પાટીલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અજિત પવારના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ વધી રહી છે અને તેમના સમર્થકો ઘણા શહેરોમાં હોર્ડિંગ્સ લગાવી રહ્યા છે,જેમાં તેમને આગામી મુખ્યપ્રધાન બનવાનું કહેવામાં આવ્યું છે.જોકે, અજિત પવારે પાર્ટી છોડવાની અટકળોને ફગાવી દીધી છે.તેમણે કહ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યો શરદ પવારના નેતૃત્વમાં એકજૂટ છે.