– તુવેરના નીચા ઉત્પાદનને કારણે કુલ ૧૧ લાખ ટનની આયાત થશે : કઠોળનાં વેપારી-મિલ સંગઠનો સાથે સરકારે બેઠક કરી સમીક્ષા હાથ ધરી
દેશમાં તુવેરના ઓછા પાકને પગલે અછત ટાળવા ચાલુ વર્ષે તુવેરની આયાતમાં ૩૦ ટકાનો વધારો થાય એવી ધારણા છે.બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે નીચા સ્થાનિક ઉત્પાદનને કારણે માર્ચમાં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની તુવેરની આયાત વાર્ષિક ધોરણે ૩૦ ટકાથી વધીને લગભગ ૧૧ લાખ ટન થવાની સંભાવના છે.
ખરીફ તુવેરના ઓછા ઉત્પાદનની અપેક્ષાએ,ભારતને સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ૧૧ લાખ ટન તુવેરની આયાત કરવાની જરૂર પડશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.સરકારના પ્રથમ આગોતરા અંદાજ મુજબ ૨૦૨૨-૨૩ (જુલાઈ-જૂન)માં તુવેરનું ઉત્પાદન ૩૮.૯ લાખ ટન રહેવાની ધારણા છે,જે ગત વર્ષ કરતાં ૧૦ ટકા ઓછું છે.જોકે ઉદ્યોગ વર્ષ માટે તુવેરનું ઉત્પાદન ૩૨થી ૩૫ લાખ ટન જેટલું નીચું રહેવાની અપેક્ષા રાખે છે,એમ બીજા અધિકારીએ ગયા અઠવાડિયે બજારના ખેલાડીઓ સાથેની મીટિંગની મિનિટોને ટાંકીને જણાવ્યું હતું.
ભારતે ૨૦૨૧-૨૨ (એપ્રિલ-માર્ચ)માં ૮,૪૦,૪૬૪ ટન તુવેરની આયાત કરી હતી,જે આગલા વર્ષ કરતાં ૯૦ વધારે છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં તુવેરની આયાત ૩૦ ટકા ઘટીને ૨,૬૬,૪૩૮ ટન થઈ છે.વિશ્લેષકોના મતે તુવેરનો સ્થાનિક વપરાશ દર વર્ષે ૪૫થી ૪૮ ટન જેટલો છે.સરકાર સાથેની તેમની બેઠકમાં ઇન્ડિયા પલ્સ ઍન્ડ ગ્રેન્સ અસોસિએશન અને ઑલ ઇન્ડિયા દાલ મિલ અસોસિએશન જેવાં ઉદ્યોગ સંગઠનોએ કેટલાક દેશો પર આયાત નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને નવી ભૌગોલિક જગ્યાઓની શોધ કરવાના માર્ગો સૂચવ્યા હતા.
માગ અને પુરવઠા વચ્ચેના તફાવતને પહોંચી વળવા માટે સરકાર ૨૦૨૨-૨૩માં ખાનગી વેપારી દ્વારા સુદાનમાંથી લગભગ એક લાખ ટન તુવેરની આયાત કરવા માટે પણ વિચારી રહી છે એમ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં ભારત મ્યાનમાર, મોઝામ્બિક,તાન્ઝાનિયા અને માલાવીમાંથી તુવેરની આયાત કરે છે.મ્યાનમાર અને આફ્રિકન દેશોમાં તુવેરનું ઉત્પાદન ગઈ સીઝનમાં ૯.૧૫ લાખ ટનથી વધીને ૨૦૨૨-૨૩માં ૧૧ લાખ ટન જોવા મળશે.આનાથી આ વર્ષે ભારતની આયાતમાં વધારો થવાની સંભાવના છે,એમ અધિકારીએ ઉદ્યોગનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું.દેશના ખરીફ કઠોળના ઉત્પાદનમાં તુવેરનો હિસ્સો લગભગ ૫૦ છે.સરકારે માર્ચ ૨૦૨૩ સુધી તુવેર અને અડદની આયાત ફ્રી કૅટેગરીમાં રાખી છે.
દેશમાં તુવેરનો નીચો પાક અને કઠોળના ભાવને પણ સરેરાશ નીચા રાખવા માટે સરકાર દેશમાં એક પણ કઠોળની અછત ન સર્જાઈ એ માટે એક પછી એક પગલાં લઈ રહી છે અને છેલ્લા એક-દોઢ વર્ષથી કેટલાક કઠોળની આયાતને નિયંત્રણમુક્ત કરી છે.દેશમાં કઠોળના ઉત્પાદનમાં પ્રતિકૂળ હવામાન અને નીચા ભાવને કારણે વધારો થતો નથી.આવી સ્થિતિમાં સરકારે આફ્રિકન દેશો સાથે કરેલા કરાર મુજબ કઠોળની આયાત કરી રહી છે.