તૂર્કીએ ઉત્તરી ઈરાકમાં ઘૂસીને કૂર્દિશ બળવાખોરો પર જમીની તેમ જ હવાઈ હુમલા શરૃ કર્યા છે.તૂર્કીના સંરક્ષણ મંત્રીએ આ અંગેની જાહેરાત કરી હતી.બળવાખોરોના બંકરો તોડી પાડયા હોવાનો દાવો તૂર્કીએ કર્યો હતો.તૂર્કીના પ્રમુખ તૈયબ એર્ડોગને ઈરાકના સ્વતંત્ર પ્રદેશ મસરુર બાઝાની સાથે થોડા દિવસ પહેલાં મુલાકાત કરી હતી.એ પછી હવે ઈરાકના ઉત્તરી વિસ્તારમાં કૂર્દિશ હુમલાખોરો સામે લશ્કરી કાર્યવાહી થઈ છે. તૂર્કીના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે મિત્રો અને સહયોગીની મદદથી આ લશ્કરી ઓપરેશન શરૃ થયું છે, જોકે એમાં કોઈ સરકારનો ઉલ્લેખ ન હતો.ઉત્તરી ઈરાકના મેટિના, જેપ અને અવાસિન-બસ્યાન વિસ્તારોમાં કૂર્દિશ બળવાખોરોના કેમ્પો ધમધમે છે.૧૯૮૦ના દશકાથી કૂર્દિશ બળવાખોરો તૂર્કી સામે લડી રહ્યા છે.તૂર્કીના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે આતંકવાદીઓનો ખાતમો કરવા માટે આ સૈન્ય અભિયાન શરૂ કર્યું છે અને તેના પ્રથમ તબક્કાને ધારી સફળતા મળી છે.
તૂર્કીએ એવો દાવો કર્યો હતો કે માત્ર આતંકવાદી કેમ્પોને જ નુકસાન પહોંચાડવા માટે આ ઓપરેશન હાથ ધર્યું છે.સાસ્કૃતિક અને ધાર્મિક રીતે કોઈ નુકસાન ન થાય તેનું વિશેષ ધ્યાન રખાયું છે.ઈરાકના નાગરિકોને પણ કોઈ નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવી છે.જોકે, કૂર્દિશ બળવાખોરોએ આ બાબતે કોઈ જાહેરાત કરી ન હતી.ઈરાકની સરકારે પણ કોઈ નિવેદન આપ્યું ન હતું.કૂર્દિશ બળવાખોરો છેલ્લાં સાડા ત્રણ દશકાથી હુમલા કરે છે અને એમાં હજારો નાગરિકો માર્યા ગયા હોવાનો દાવો તૂર્કી કરે છે. કૂર્દિશ વર્કર્સ પાર્ટી નામનું સંગઠન આ હુમલા કરે છે.આ સંગઠનને અમેરિકા અને યુરોપિયન સંઘે પ્રતિબંધિત કર્યું છે.