અમદાવાદ તા.10 : વિકસીત દેશોમાં આરામદાયક અને વૈભવી જીવન જીવવા માટે ભારતીય નાગરિકોનો વિદેશ વસવાટનો મોહ વધતો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 6.76 લાખ લોકોએ ભારતીય નાગરિકતા પરત સોંપીને વિદેશી નાગરિકતા મેળવી છે તેમાં ગુજરાતીઓનો પણ મોટો ફાળો છે.ગુજરાતમાં અમદાવાદ પાસપોર્ટ કચેરીને 2018માં 60 પાસપોર્ટ પરત મળ્યા હતા તે સંખ્યા 2020માં વધીને 312ની થઈ હતી. 2019માં 150 લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા.અર્થાત 3 વર્ષમાં 532 લોકોએ નાગરિકતા છોડી છે.લોકસભામાં કેન્દ્ર સરકારે જાહેર કર્યુ હતું કે 2015 થી 2019ના પાંચ વર્ષમાં 6.76 લોકોએ ભારતીય નાગરિકતા પરત સોંપી દીધી હતી. 1,24,99,395 ભારતીય નાગરિકો વિદેશમાં વસવાટ કરતા હોવાનું પણ ગૃહ રાજયમંત્રીએ જાહેર કર્યુ હતું.અમદાવાદના રીજીયોનલ પાસપોર્ટ ઓફીસર વરેન મિશ્રાના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ વિદેશી નાગરીકતા મેળવે એટલે તેણે પાસપોર્ટ પરત કરવો પડે છે.આ જ રીતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવારજનોએ પણ પાસપોર્ટ પરત સોંપવો પડે છે.