– ત્રણ વર્ષથી બાકી 150 કરોડ રૂપિયા સબસીડી ચૂકવવા માગ
દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે શેરડીનાં પાક ઉપર ખેડૂતો નભે છે.ત્યારે દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોને સહકારી આગેવાનો અને સંચાલકો પર અને સરકાર પર આશા હોય છે.બીજી બાજુ ખાંડનું બજાર નીચું જઈ રહેતા સુગર ફેકટરીઓની સ્થિતિ નબળી પડી રહી છે.ત્યારે સરકારે ખાંડ એકસપોર્ટની સબસીડીમાં ઘટાડો કરી દેતા આ ઘટાડો પાછો ખેંચવા તથા ત્રણ વર્ષની બાકી સબસીડીની ત્વરિત ચુકવણી કરવા અને સોફ્ટ લોન ચાલુ કરવા સહકારી આગેવાન સંદિપ માગરોલા આને દર્શન નાયકે વડાપ્રધાનને પત્ર લખીને માંગ કરી છે.
વિગતો મુજબ ગુજરાતમાં 65 હજાર લાખ ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતી 15 જેટલી સુગર ફેકટરી ઓ કાર્યરત છે.આ તમાંમ સુગર ફેકટરીઓ સહકારી ક્ષેત્રની છે. 3 લાખ કરતાં પણ વધારે ખેડૂતો શેરડીની વાવણી કરે છે.આ સુગર ફેકટરીઓ 2 લાખ શ્રમિકોને શેરડી પિલાણ દરમિયાન સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે. 10 હજાર ટ્રેક્ટર. ટ્રક અને બળદગાડાનાં માલિકો નિર્ભર છે.
ખાંડ ઉદ્યોગના અગ્રણીઓ સાયણ સુગર ફેકટરીના ડિરેક્ટર દર્શન નાયક અને વખારિયા સુગરના માજી ચેરમેન સંદિપ માગરોલાએ જણાવ્યું કે, ખાંડને ફરજીયાત પણે એકસપોર્ટ કરવામાં આવે છે.જેના કારણે શેરડીનો ભાવ ઓછો મળે છે.આ સંજોગોમાં ગત્ વર્ષની સરખામણીમાં ઓછાં ભાવોનો ફેર પડતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જતાં મુશ્કેલીમાં મુકાયેલા છે.સરકાર દ્વારા અગાઉ 1440 સબસીડી આપવામાં આવતી હતી. તેમા ક્રમશઃ ઘટાડો કરીનેં 600 કરવામાં આવી હતી.હવે નવા પરિપત્ર મુજબ 400 કરી દેવામાં આવી છે.જે નિર્ણય સરકાર દ્વારા ખાંડ મિલો શેરડી પકવતા ખેડૂતોને બાકી લેણાંની ચૂકવણી કરી શકે તે હેતુથી લેવામાં આવ્યો હતો માટે જાહેર કરેલી સબસીડી ત્રણ વર્ષની અંદાજિત 150 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી નથી જે ત્વરિત ચૂકવી આપવામાં આવે તો ખાંડ ઉદ્યોગ અને ખેડૂતો બન્નેને ફાયદો થાય તેમ છે.
સહકારી સુગર ફેક્ટરીઓ મળીને અંદાજિત કુલ 18 લાખ ક્વિન્ટલ સુગર એકસપોર્ટ કરવામાં આવે છે જેનો ભાવ ક્વિન્ટલે સબસીડી રૂપિયા 2500સાથે 600 મળીને 3100 માં વેચાણ થાય છે. જ્યારે નવા પરિપત્ર મુજબ સબસિડીમાં ઘટાડો થતાં ક્વિન્ટલે સબસીડી સાથે મળી રૂપિયા 2900 માં વેચાણ કરવાની ફરજ પડે છે જ્યારે બીજી બાજુ ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થયેલો છે અને ખાંડના ભાવમાં સરકારની નીતિઓને કારણે ખેડૂતોને વધુ માર પડતો આવેલો છે.
ખાંડ બજાર કિંમત ફ્રી સેલમાં રૂપિયા 3100 થી 3111 સુધીના ભાવની હોવા છતાં તેનું વેચાણ થતું નથી.ખાંડના એક્સપોર્ટને ફ્રી સેલ આ બંને વેચાણ નીતિના કારણે સુગર ફેક્ટરીઓને વ્યાજનું પણ મોટા પ્રમાણમાં ભારણ ભોગવવામાં આવે છે.જેના અનુસંધાનમાં છેલ્લા ત્રણ વર્ષથી વગર વ્યાજની સોફ્ટ લોનની નીતી બંધ છે.તે ચાલુ કરવામાં આવે જેથી સહકારી સુગર ફેક્ટરીને લિક્વિડિટીનો પ્રશ્ન ના રહે અને ખેડૂતોને સમયસર પાકનું વળતર મળી રહે એ અંગેની માંગ સહકારી આગેવાનો દર્શન નાયક અને સંદીપ માંગરોલા દ્વારા વડાપ્રધાન પાસે કરવામાં આવી છે.