વલસાડ, 26 જૂન : સંઘપ્રદેશ દમણમાં દિનપ્રતિદિન કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.ગુરૂવારે કચીગામ વિસ્તાર સહિત દમણમાંથી વધુ 9,કોવિંડ- 19 ના કેસો નોંધાયા છે.ગુરૂવારે કોરોના પોઝિટિવ વધુ ત્રણ દર્દી રીકવર થતાં, અત્યાર સુધીમાં કુલ 7 દર્દીને રજા આપવામાં આવી છે.દમણમાં ગુરૂવારે કોવિંડ 19ના વધુ કેસો નોંધાતા કુલ આંકડો 63 ઉપર પહોંચી ગયો છે.જોકે,આ કેસો પૈકી 80ટકાથી વધારે કેસો ડાભેલ વિસ્તારમાં રહેતા કામદારોમાં એકબીજાના સંક્રમણ આવતા થયા હોવાનું બહાર આવ્યું છે.જોકે,બે દિવસથી ડાભેલ પછી હવે કોરોનાનું નવું એપી સેન્ટર કચીગામની ચાલીમાં જોવા મળી રહ્યું છે.ગુરૂવારે પણ 9 કેસ પૈકી કચીગામના નવા પેટ્રોલપંપ નજીક આવેલી ભગુભાઇની ચાલી અને ફાયર સ્ટેશન નજીકની ગુલાબભાઇની ચાલીમાંથી કોરોના પોઝિટિવના કેસો મળ્યા હતા.ડાભેલ બાદ હવે કચીગામની ચાલીઓમાં સ્થાનિક સંક્રમણ વધતાં આવનારા દિવસોમાં કેસોની સંખ્યા વધવાની સંભાવના છે.નાની દમણના સત્યનારાયણ મંદિર નજીક આવેલા મનિષ એપાર્ટમેન્ટમાં એક કેસ મળતાં હવે દમણમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 23 ઉપર પહોંચી છે.
8 હજારથી વધુના સેમ્પલ લેવાયા.દમણમાં કોરોના પોઝિટિવની વધતી સંખ્યાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં 1800થી વધારે ઘરોનું સ્ક્રિનિંગ કરીને 8 હજારથી વધુ સેમ્પલો લેવાયા છે.