બારડોલી : બે દિવસથી રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પ્રવાસે છે.ગત રોજ તેમણે વિવિધ સ્થાનોની મુલાકાત લઈ લોકોના સૂચનાઓ અને સમસ્યાઓ વિષે જાણકારી મેળવ્યા બાદ શનિવારના રોજ સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો હતો.જ્યાં તેમણે સરકાર વિસ્તારના જે મહત્વના પ્રશ્નો છે તેનું વહેલામાં વહેલી તકે નિવારણ લાવશે એવી ખાતરી આપી હતી.
વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા તમામ 182 સીટો કબ્જે કરવા માટે રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે.જેના ભાગ રૂપે ભાજપના નેતાઓ અને મંત્રીઓને અલગ અલગ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી રહી છે.બારડોલી વિધાનસભા માટે સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે.છેલ્લા બે દિવસથી તેઓ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે.ગત રોજ વિવિધ સમજો,સહકારી આગેવાનો,કાર્યકરો સાથે બેઠક કરી હતી અને સુરત જિલ્લાના રાજકીય સમીકરણોની પણ સમીક્ષા કરી રહ્યા છે.ગત રોજ બારડોલીમાં સ્વરાજ આશ્રમની મુલાકાતથી તેમનો બારડોલી પ્રવાસની શરૂઆત થઈ હતી.
ત્યારબાદ તેઓ મહિલા મોરચા,સખી મંડળ તેમજ કીર્તન મંડળની બહેનો સાથે મુલાકાત કરી તેમના સૂચનો અને સમસ્યા જાણી હતી.આ ઉપરાત પલસાણા તાલુકામાં પણ ચાલી રહેલા વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું.શનિવારના રોજ બારડોલી તાલુકા અને શહેરના મુખ્ય કાર્યકરો સાથે બેઠક કરતાં પહેલા તેમણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇની ઉપસ્થિતિમાં તેમણે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ગુજરાતમાં થઈ રહેલા વિકાસના કામો અને વિવિધ યોજનાઓ વિષે માહિતી આપી હતી.તેમણે કહ્યું કે ગુજરાતમાં વન બંધુ યોજના,સાગર ખેડુ યોજના સહિતની વિવિધ યોજનાઓ થકી લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.છેવાડા માનવી સુધી વિકાસ પહોંચ્યો છે અને આજે ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે.તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાત કરતાં જણાવ્યુ હતું કે,તેઓ ગુજરાત મોડેલને રાષ્ટ્રીય કક્ષાએ લઈ ગયા છે અને તેના કારણે જ સમગ્ર દેશના લોકોને વિકાસના બીજ ચાખવા મળી રહ્યા છે.તેમણે વિસ્તારની મુખ્ય સમસ્યાઓ પૈકી દસ્તાન રેલ્વે ઓવર બ્રિજના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.તેમણે કહ્યું કે સાઇટની મુલાકાત લીધા બાદ આ અંગે ગાંધીનગરની બેઠકમાં ચર્ચા કરી તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.તેમણે જિલ્લાના ગામડાઓમાં સી.એન.જી ગેસ લાઇનની સમસ્યા મુદ્દે પણ ત્વરિત નિવારણ લાવવા બાંહેધરી આપી હતી.