નવી દિલ્હી : તા.15 જૂન 2022,બુધવાર : અલ્હાબાદ હાઈકોર્ટે દહેજ ઉત્પીડનની કલમ 498એના દુરૂપયોગને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.હાઈકોર્ટના આદેશ પ્રમાણે આઈપીસીની કલમ 498એ અંતર્ગત દાખલ કરવામાં આવેલા કેસમાં 2 મહિના સુધી કોઈની ધરપકડ નહીં કરવામાં આવે.પરિવાર કલ્યાણ સમિતિ આ સમય દરમિયાન કેસ અંગે વિચારણા કરીને પોતાનો રિપોર્ટ સોંપે.ન્યાયમૂર્તિ રાહુલ ચતુર્વેદી દ્વારા આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે.કૂલિંગ પીરિયડ દરમિયાન પ્રશ્નના સમાધાનનો પ્રયત્ન કરવામાં આવે
અલ્હાબાદ હાઈકોર્ટના કહેવા પ્રમાણે એફઆઈઆર દાખલ થયાના 2 મહિના સુધી પોલીસ કોઈ પણ ઉત્પીડનાત્મક કાર્યવાહી પણ ન કરે.ઉપરાંત 2 મહિનાના કૂલિંગ પીરિડય દરમિયાન પારિવારિક વિવાદના ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવે.કેસ દાખલ થતા જ પરિવાર કલ્યાણ સમિતિને મોકલવામાં આવે.તે કમિટી એક વિસ્તૃત રિપોરટ્ તૈયાર કરીને પોલીસ અને મેજિસ્ટ્રેટને સોંપે.આ ઉપરાંત કોર્ટે આ પ્રકારની કમિટીને રાહત આપતા કહ્યું હતું કે,કેસ દરમિયાન કમિટીના કોઈ પણ સદસ્યને સાક્ષી તરીકે નહીં બોલાવવામાં આવે.
અલ્હાબાદ હાઈકોર્ટના કહેવા પ્રમાણે દહેજ ઉત્પીડન અંગેની કલમ 498એનો દુરૂપયોગ વૈવાહિક સંસ્થાઓને પ્રભાવિત કરી રહ્યો છે.ઉપરાંત આ કારણે લિવ ઈન રિલેશનશિપ પરંપરાગત વિવાહનું સ્થાન લેતા હોવાનું જણાઈ રહ્યું છે.કાયદાકીય જવાબદારીથી બચવા માટે કપલ લગ્ન વગર એક સાથે રહેવા અને યૌન સંબંધો બાંધવા માટે રાજી થઈ રહ્યા છે.આ જમીની હકીકત છે જેનો આપણે સ્વીકાર કરવો પડશે.