મુંબઈ, તા. 07 માર્ચ, 2022, સોમવાર : દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકને મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટે 14 દિવસની કોર્ટ કસ્ટડીમાં મોકલાવ્યા છે.આ અગાઉ EDએ મલિકને 7 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા.ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ 23 ફેબ્રુઆરીએ મલિકની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ મહારાષ્ટ્ર સરકારમાં અલ્પસંખ્યક બાબતોના પ્રધાન અને NCPના પ્રવક્તા, 62 વર્ષીય મલિકને 8 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતા.જોકે,ગયા ગુરૂવારે તેમની કસ્ટડી વધારીને 7 માર્ચ સુધીની કરી દેવામાં આવી હતી.EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે,મલિકના 1993ના મુંબઈ વિસ્ફોટ સાથે જોડાયેલા લોકો સાથે સંબંધો હતા.એજન્સીનું કહેવું છે કે,આ તપાસ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ, તેના સહયોગીઓ અને મુંબઈના અંડરવર્લ્ડની ગતિવિધિઓ સાથે સંબંધિત છે.
મલિકની ધરપકડ રાજકારણથી પ્રેરિત: શરદ પવાર
એનસીપીના પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું હતું કે,મલિકની ધરપકડ રાજકારણથી પ્રેરિત છે અને તેનું નામ મુસ્લિમ હોવાના કારણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવી રહ્યું છે.પવારે મલિકના રાજીનામાની વિપક્ષની માંગને પણ ફગાવી દીધી હતી.એનસીપીના વડાએ કહ્યું, “મલિકની ધરપકડ રાજકારણથી પ્રેરિત છે.તેનું નામ દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવામાં આવી રહ્યું છે કારણ કે તે મુસ્લિમ છે.મલિક અને તેના પરિવારના સભ્યોને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે,પરંતુ અમે તેની સામે લડીશું.