રાજ્ય સરકારે દારુબંધીના કાયદા (ગુજરાત પ્રોહિબિશન એક્ટ)માં વર્ષ 2017માં કરેલા સુધારા બાદ, તેની સામે પાંચ અને તરફેણમાં ત્રણ અરજીઓ હાઈકોર્ટમાં થયેલી છે.જેમાં,દારુબંધીનો વિરોધ કરતા અરજદાર વતી સિનિયર કાઉન્સેલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ દરેક નાગરિકને તેમની ઈચ્છા મુજબ ખાવા અને પીવાનો હક છે.આજે સરકારે ઘરમાં દારુ પીવાની ના પાડી છે,આવતીકાલે એવું પણ બને કે સરકાર એવું કહશે કે માંસાહાર કરવો નહીં,તો શું સરકારને રોકી શકીશું ? સરકારનુ આ વલણ યોગ્ય નથી. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે સ્વીકારેલુ છે કે,રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ વ્યક્તિ એકલા રહી શકે છે.હવે આ અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી આગળ વધશે.
રાજ્ય સરકારે કહેલું કે આ અરજી ટકી શકે તેમ નથી,તેની સામે અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, વર્ષ 1951માં આ કાયદાની કેટલીક સેક્શનની જોગવાઈઓ સામે વાંધો ઉઠાવાયો હતો.હાલની અરજીમાં કાયદાની જે જોગવાઈઓને પડકારાયેલી છે,તેમાં વર્ષોથી સુધારા થતા રહ્યા છે.જેથી, વિષયવસ્તુને લઈને આ અરજી ભૂતકાળની અરજી કરતા ઘણી અલગ છે.
ભૂતકાળમાં કાયદાની જોગવાઈઓને જ્યારે પડકારવામાં આવી હતી,ત્યારે એવું માની લેવામાં આવ્યું હતું કે, વિધાનસભા પાસે આ કાયદો ઘડવાની વૈધાનિક સત્તા નથી.વર્તમાનમાં અરજદાર દ્વારા જે અરજી કરાઈ છે,તેમાં વિશાળ રીતે મનસ્વી વલણ અને ગુપ્તતાના હકની બાબતને આવરી છે.એડ્વોકેટ જનરલ એવું કહે છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટ તે બાબત સાંભળી શકે નહીં.
જો કે, કાયદાની જોગવાઈની વિષયવસ્તુમાં બદલાવ આવે અને તેને પડકારવામાં આવે તો, આ (એડ્વોકેટ જનરલ કહેલી ) વાત તેના પર અમલી બની શકે નહીં.નાગરિકોના ઘરમાં શું પ્રવૃત્તિ ચાલી રહી છે,તે મુદ્દા પર સરકાર દખલગીરી કરી શકે નહીં.જો વ્યક્તિએ તેના ઘરમાં દારુ પીવો હોય તો,તેની આ પ્રક્રિયા પર સરકાર રોક લગાવી શકે નહીં.જો વ્યક્તિ દારુ પીને જાહેરમાં ધમાલ કે ઉપદ્રવ મચાવે અને ડ્રાઈવિંગ કરે તે સંજોગોમાં રાજ્ય સરકાર તેના પર અંકુશ લગાવી શકે છે.આ રજૂઆત બાદ,હાઈકોર્ટે આ અરજી પરની વધુ સુનાવણી આજે રાખી છે.જેમાં, સરકાર વતી એડ્વોકેટ જનરલ તેનો જવાબ રજૂ કરશે.
સુનાવણી સમયે, ચીફ જસ્ટિસે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, કાયદો અસ્તિત્વમાં શા માટે લાવ્યા છે ? આ અંગે અરજદારના વકીલની રજૂઆત હતી કે, જે તે સમયે દારૂબંધી મુદ્દે કેન્દ્રમાં સહમતિ ન બનતા,આ મુદ્દો રાજ્ય સરકાર પર છોડી દેવામાં આવ્યો હતો.આ પછી, રાજ્ય સરકારે તેમની રીતે નિર્ણય લીધો હતો.ગુજરાત એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગાંધીજી દારુબંધીના કડક હિમાયતી હતા.આ ઉપરાંત,બોમ્બે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મોરારજી દેસાઈ પણ દારુબંધીના કડક હિમાયતી હતા.જેથી, ગુજરાતની રચના બાદ,રાજ્યમાં દારુબંધીનો કાયદો અમલમાં આવ્યો છે.


