– ખેડૂત આંદોલનમાં ફરી પ્રાણ ફૂંકવા મુશ્કેલ બેઠકમાં મારામારી સુધી વાત પહોંચી હોવાના અહેવાલ ચૂંટણીઓ લડનારા ખેડૂત નેતાઓને સંગઠનથી દુર રહેવા સલાહ
નવી દિલ્હી : કૃષિ કાયદાઓના વિરોધથી શરૂ થયેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન સંયુક્ત મોરચામાં હવે તિરાડ પડવા લાગી છે.દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાઇ હતી.
જોકે એક જ સૃથળે આ બેઠક યોજાઇ હોવા છતા નેતાઓએ પોતાની મનમાની મજૂબ અલગ અલગ બેઠકો યોજી લીધી હોવાના અહેવાલો છે.એટલે કે સંયુક્ત કિસાન મોરચા હવે પહેલા જેટલુ મજબૂત સંગઠન ન રહ્યું હોવાની અટકળો છે.
ખેડૂતોએ આંદોલન દરમિયાન કૃષિ કાયદા પરત લેવા,ટેકાના ભાવ,ખેડૂતો સામે આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા અને માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતરી માગણી કરી હતી.જેમાંથી કૃષિ કાયદા પરત લઇ લેવાયા હતા જ્યારે અન્ય માગો સરકારે ન સ્વિકારી હોવાના દાવા સંયુક્ત કિસાન મોરચા કરી રહ્યું છે.
આ બાકીની માગોને લઇને જ સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિલ્હીમાં એક બેઠક યોજવામાં આવી હતી.જોકે આ બેઠકમાં નેતાઓ વચ્ચે વિવાદો જોવા મળ્યા હતા.એવા પણ અહેવાલો છે કે નેતાઓ વચ્ચે સામસામે બોલાચાલી પણ થઇ હતી.સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ વચ્ચે બે ફાટા પડી ગયા હતા.
એક જ સૃથળે આ બન્ને જુથના નેતાઓએ અલગ અલગ બેઠકો કરી હતી.એક રિપોર્ટ અનુસાર ખેડૂત નેતા દર્શન પાલ,હન્નન મોલ્લા,જગજીતસિંહ,જોગિંદરસિંહ,યુદ્ધવીરસિંહ અને યોગેંદ્ર યાદવ મીટિંગથી બહાર બેઠા રહ્યા હતા.
આ લોકો મોરચાના એ નેતાઓનો વિરોધ કરી રહ્યા હતા કે જેઓએ હાલમાં જ વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી.આ નેતાઓની એવી દલીલ હતી કે સંયુક્ત કિસાન મોરચાથી અલગ થઇને જે નેતાઓએ ચૂંટણીઓ લડી હોય તેઓએ હવે મોરચાનો હિસ્સો ન રહેવું જોઇએ.
આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા યોગેંદ્ર યાદવે કહ્યું હતું કે જે લોકોએ ચૂંટણીઓ લડી છે તેઓ ખુરશીઓ પર બેઠા છે જ્યારે અમે ખેડૂત હોવાથી જમીન પર બેસવાનું વધુ પસંદ કરીએ છીએ.
જ્યારે ચૂંટણી લડનારા રાજેવાલે કહ્યું હતું કે અનેક લોકો અગાઉ પણ ચૂંટણીઓ લડી ચુક્યા છે.જેમાં રાકેશ ટિકૈત અને યોગેંદ્ર યાદવનો પણ સમાવેશ થાય છે.એટલે કે સંયુક્ત કિસાન મોરચામાં ચૂંટણી લડનારા અને ન લડનારા ખેડૂત નેતાઓ વચ્ચે ફાટા પડી ગયા છે.

