– તિહાડ જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા શહાબુદ્દીનનું ગત 1 મેના રોજ કોરોના સંક્રમણના કારણે અવસાન થયું હતું
નવી દિલ્હી, તા. 5 જૂન : બિહારના પૂર્વ સાંસદ શહાબુદ્દીનના અવસાન બાદ પણ તેમનું નામ ચર્ચામાં છે. આ વિવાદ તેમની કબર સાથે સંકળાયેલો છે જે દિલ્હીના સૌથી વિશાળ કબ્રસ્તાનમાં આવેલી છે.આ કબ્રસ્તાન આઈટીઓ ખાતે આવેલું છે.
કોરોનાની પહેલી અને બીજી લહેર વખતે આ કબ્રસ્તાનમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને દફનાવવા ખૂબ જ ઓછી જગ્યા બચી હતી અને વ્યવસ્થા કમિટી સતત લોકોને પાકી કબર ન બનાવવા સૂચના આપતી હતી.
કોરોના કાળ વખતે દિલ્હીમાં એવી સ્થિતિ પણ જોવા મળી હતી કે, સ્મશાનમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે જગ્યા ખૂટી પડી હોય તો પાર્ક અને સર્વિસ એરિયામાં ચિતા સળગાવવા પ્લેટફોર્મ બનાવવા પડે.રાજધાની દિલ્હીના સૌથી મોટા કબ્રસ્તાનમાં પૂર્વ સાંસદ શહાબુદ્દીનની કબર પાકી બનાવવામાં આવી રહી હતી.કબ્રસ્તાન કમિટીએ તરત તેને ધ્યાનમાં લઈને અટકાવવા પ્રયત્ન કર્યો હતો અને પોલીસ બોલાવવામાં આવી હતી. સામાન્ય રીતે કોઈને પણ પાકી કબર બનાવવા મંજૂરી નથી ત્યારે શું પૂર્વ સાંસદ માટે અલગથી કોઈ નિયમ છે?
કબ્રસ્તાન કમિટીએ 1992માં જ કાયદો બનાવીને કોઈ પણ કબરને પાકી ન બનાવી શકે તે માટે પ્રતિબંધ લાગુ કર્યો હતો.ત્યારે કમિટીએ તાજેતરમાં આ નિર્માણ કોના ઈશારે થઈ રહ્યું છે તેની તપાસની માંગ કરી છે.તિહાડ જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા શહાબુદ્દીનનું ગત 1 મેના રોજ કોરોના સંક્રમણના કારણે અવસાન થયું હતું.શહાબુદ્દીનના ઘરવાળાઓ મૃતદેહને સિવાન ખાતે પૈતૃક ગામમાં દફનાવવા લઈ જવા ઈચ્છતા હતા પરંતુ તેની મંજૂરી ન મળતા દિલ્હી ગેટ ખાતે આવેલા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવી પડી હતી.

