નવી દિલ્હી,તા.5 ઓગસ્ટ 2022,શુક્રવાર : આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે નિકળેલી રેલીમાં ભાજપના સાંસદ અને અભિનેતા મનોજ તિવારીએ હેલમેટ પહેર્યા વગર મોટર સાયકલ ચલાવી હતી.તેમની સાથે બીજા લોકોએ હેલમેટ પહેરી હતી પણ તિવારી જ એકલા હેલમેટ વગર જોવા મળ્યા હતા.દિલ્હી પોલીસે મનોજ તિવારીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 21000નો દંડ ફટકાર્યો હતો.એ પછી મનોજ તિવારીએ પોતાની ભૂલ બદલ દિલ્હી ટ્રાફિક પોલીસની માફી માંગી છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, હેલમેટ નહીં પહેરવા બદલ મને બહુ અફસોસ છે.મને જે પણ મેમો અપાયો છે તે પ્રમાણે હું દંડ ભરી દઈશ.તમને બધાને પણ મારી અપીલ છે કે, હેલમેટ વગર ટુ વ્હીલર ચલાવતા નહીં અને સુરક્ષિત રીતે ડ્રાઈવિંગ કરજો.
દિલ્હી પોલીસે મનોજ તિવારીને 21000 રૂપિયાનો દંડ એટલે પણ ફટકાર્યો છે કે, તેઓ જે મોટરસાયકલ ચલાવી રહ્યા હતા તેના પર હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ જ નહોતા.બાઈકનુ પીયુસી પણ નહોતુ.આ નિયમોના ઉલ્લંઘન બદલ પણ દંડની રકમ ઉમેરવામાં આવી હતી.

