નવી દિલ્હી : દિલ્હી-હરિયાણા સહિત અનેક રાજ્યોમાં એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેમના લાભાર્થીઓના 42 સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડયા હતાં. આવકવેરા વિભાગે અનેક હવાલા ઓપરેટર અને નકલી બિલ બનાવનારા લોકોના પરિસરોમાં દરોડા પાડીને 5.26 કરોડ રૂપિયાના ઘરેણા અને રોકડ રકમ જપ્ત કરી છે.આ સાથે જ 500 કરોડ રૂપિયાથી વધુના નકલી બિલ બનાવી એન્ટ્રી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.આવકવેરા વિભાગે દિલ્હી-એનસીઆર,ઉત્તરાખંડ, હરિયાણા,પંજાબ અને ગોવામાં એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેમના લાભાર્થીઓના 42 પરિસરોમાં દરોડા પાડયા હતાં.
આ દરોડામાં અત્યાર સુધીમાં 2.37 કરોડ રૂપિયા રોકડા અને 2.89 કરોડ રૂપિયાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે.સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે ક આ સમગ્ર નેટવર્કમાં એન્ટ્રી ઓપરેટર,વચેટિયાઓ,કેશ હેન્ડલર,લાભાર્થીઓ,કંપનીઓ પણ સામેલ છે.અત્યાર સુધી મળેલા દસ્તાવેજો મુજબ 500 કરોડ રૂપિયાની નકલી એન્ટ્રી કરવામાં આવી છે.
આરોપીઓએ આ કૌભાંડને અંજામ આપવા માટે અનેક શેલ કંપનીઓની પણ રચના કરી હતી.કંપની સાથે જોડાયેલા લોકો અને કર્મચારીઓને આ શેલ કંપનીઓના ડાયરેક્ટર અથવા ભાગીદાર બનાવી દેવામાં આવ્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર આ કૌભાંડના લાભાર્થીઓએ રિયલ એસ્ટેટની મિલકતો અને ફિક્સ્ડ ડિપોઝીટમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યુ છે.

