દિલ્હી પોલીસ વિતેલા 72 કલાકથી નિષ્ક્રિય: દિલ્હી પોલીસ પર સોનિયાના આરોપ
એજન્સી, નવી દિલ્હી:
દિલ્હી હિંસાને લઇને કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ છે. સોનિયા ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધતા દિલ્હી હિંસાને સુનિયોજીત કાવતરુ ગણાવ્યું હતું. તેમજ હિંસા પર અંકુશ મેળવવામાં મોડી કાર્યવાહી કરવા સામે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામુ માંગ્યુ હતું.
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યા હતા કે દિલ્હી પોલીસ વિતેલા 72 કલાકથી નિષ્ક્રિય છે. 24 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ પણ સામેલ છે. દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પાછળ તેમણે બીજેપી નેતાઓના ભડકાઉ ભાષણોને જવાબદાર ઠેરવ્યા હતા.
આ સિવાય સોનિયા ગાંધીએ દાવો કર્યો હતો કે દિલ્હી સરકાર પણ પોતાની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહી છે. હિંસા મુદ્દે CWCનું માનવુ છે કે, સ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની જરુર છે. મુખ્યમંત્રી કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે કહ્યું કે દિલ્હી સીએમએ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવી જોઇએ.