મુંબઇ : બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહને ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાન મૃત્યુના મામલે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમનો વિધાનસભ્ય પુત્ર નિતેશ રાણે નિવેદન નોંધાવવા આજે માલવણી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
પોલીસ સ્ટેશનમાં તેમની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.તે સમયે પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને રાણેના સમર્થકો જમા થઇ ગયા હતા.જેને લીધે પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી.અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.રાણેનો કાફલો જ્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યો તે સમયે નિતેશ રાણે પોતે ગાડી ચલાવી રહ્યા હતા.પોલીસ સ્ટેશનમાં આજે નિવેદન નોંધાવવા હાજર થવા અગાઉ નિતેશે ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘ખેલ આપને શુરૂ કિયા હૈ, હમ ખત્મ કરેગે, ન્યાય મિલેગાં’.
દિશા સાલિયન મૃત્યુ બાબતે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ આ પિતા,પુત્ર સામે માલવણી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.પોલીસે 3 અને 4 માર્ચના તેમની કોર્ટમાં હાજર થવા નોટીસ આપી હતી.પણ મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર શરૂ હોવાથી હાજર થઇ શક્યા નહોતા.તેમણે પોતાના વકીલ મારફતે આ બાબતની જાણ કરી હતી.બીજી તરફ આ ગુનામા નારાયણ રાણે અને નિતેશને દિંડોશી કોર્ટે રાહત આફીહતી કોર્ટે 10 માર્ચ સુધી ધરપકડ સામે રક્ષણ આપ્યું હતું.ગત 19 ફેબુ્રઆરીના નારાયણ રાણેએ પત્રકાર પરિષદ લીધી હતી.દિશાની બળાત્કાર ગુજારી હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરાયો હતો.મુંબઇના મેયર કિશોરી પેડણેકરે રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી.
બાદમાં મહિલા આયોગે માલવણી પોલીસ સ્ટેશન પાસે દિશાના મૃત્યુની માહિતી માગી હતી.પોલીસે દિશા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું.બિલ્ડિગમાંથી નીચે પટકાતા દિશાનું મોત થયું હતું.તેના ગણતરીના દિવસમાં જ સુશાંતનો પણ મૃતદેહ ગળાફાસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.