દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં જિલ્લા પોલીસની સાથે સાથે શહેર પોલીસ પણ ભીનું સંકેલવાની ફિરાકમાં હોય તેવું તપાસની ગતિ પરથી લાગી રહ્યું છે.સમગ્ર પ્રકરણ જિલ્લા પોલીસની તપાસ ઢીલી રહી છે.તો બીજી તરફ શહેર પોલીસ પણ કઈ ઉકાળી શકી નથી.જેને કારણે હવે આ કેસ પડીકું વળી જાય તો નવાઈ નહીં રહે તેવી લોક ચર્ચા થઈ રહી છે.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સૂર્યપુર સોસાયટીમાં રહેતા દુર્લભભાઈ પટેલે ગત 7મી સપ્ટેમ્બરના રોજ માંડવી ખાતે આવેલી તેમની સ્ટોન ક્વોરીની ખાણમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.આત્મહત્યા કરતાં પહેલા તેઓ ક્વોરીની ઓફિસમાં અને ઘરમાં એમ બે સુસાઇડ નોટ મૂકી ગયા હતા. જેમાં એકમાં પરિવારને સંબોધિત શાંતિથી રહેવા જણાવ્યુ હતું તો ક્વોરીની ઓફિસમાં મૂકેલી ચિઠ્ઠીમાં તેમણે તેમના પણ ગુજારવામાં આવેલ માનસિક ત્રાસ વિષેનો ખુલાસો કર્યો હતો અને તેમાં રાંદેર પીઆઇ લક્ષ્મણ સિંહ બોડાણા,રાજુ લાખા ભરવાડ,હેતલ દેસાઈ,ભાવેશ સવાણી,કનૈયાલાલ નારોલા,કિશોર કોસીયા,અજય ભોપાળા,કિરણસિંહ રાઇટર સહિતના નામોનો ઉલ્લેખ હતો. જેના આધારે મૃતકના પુત્ર ધર્મેશે ઉપરોક્ત આરોપીઑ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં પોલીસે રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીને પકડી શકી છે જ્યારે મુખ્ય સૂત્રધારો હજી પણ પોલીસ પકડથી દૂર છે.
પરંતુ હવે જિલ્લા પોલીસ ઢીલી તપાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.બીજી તરફ સમગ્ર મામલામાં શહેર પોલીસના પીઆઇ અને પોલીસ કર્મીઓ સામેલ હોય સુરત શહેર પોલીસ પણ આ મામલે ભીનું સંકેલવાના ફિરાકમાં હોવાનું બહાર આવી રહ્યું છે.પોલીસકર્મીઓને બચાવવા માટે તપાસને આડા પાટે ચઢાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારી પણ ખાસ રસ દાખવી રહ્યા છે.તેમ છતાં તપાસની ગતિ જોતાં સમગ્ર કેસનું પડીકું વળવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું લાગી રહ્યું છે