– ભોપાલના સંસદ સભ્ય સાધ્વી પ્રજ્ઞા નુપુર શર્માના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે જો સત્ય બોલવું કેટલાક લોકોને કઠે છે તો તેઓ સત્ય બોલવાનું બંધ નહીં કરે.
ભોપાલના બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ વિશેના કથિત વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપ્યું છે.તેમણે કહ્યું હતું કે, ભારત હંમેશાથી હિંદુઓનો દેશ રહ્યો છે.સનાતન જીવંત રહેશે અને તેને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે.આ સાથે તેમણે ટ્વીટ કર્યું કે, “જો સત્ય બોલવું વિદ્રોહ છે, તો સમજો કે હું પણ વિદ્રોહી છું.”
ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ નૂપુર શર્માને સમર્થન આપતું નિવેદન આપ્યું હતું,જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં તેઓ પત્રકારો સાથે વાત કરતા કહે છે, “હું સત્ય કહું છું એટલે કુખ્યાત છું. પછી ભલે તે ગમે તે મુદ્દો હોય.એ પણ સત્ય છે કે જ્ઞાનવાપીમાં શિવ મંદિર હતું, છે અને રહેશે. કોઈ અમારા હિંદુ દેવી-દેવતાઓ અને સનાતનના મૂળ ધર્મો પર હુમલો કરશે તો અમે પણ કોઈની વાસ્તવિકતા ખુલ્લી કરીશું.તમે અમને અમારી વાસ્તવિકતા કહો તો અમે સ્વીકારી લઈએ છીએ,પરંતુ અમે તમારી વાસ્તવિકતા કહીએ તો તકલીફ કેમ થાય છે? તેનો અર્થ એ છે કે ઇતિહાસ ક્યાંક ખોટો છે.”
બીજી તરફ, સાધ્વી પ્રજ્ઞાએ પયગંબર મુહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા નૂપુર શર્માને આપવામાં આવી રહેલી ધમકીઓ અંગે કહ્યું કે, “વિધર્મીઓ હંમેશા આવું કરે છે. કમલેશ તિવારી હત્યા કેસનો ઉલ્લેખ કરતા બીજેપી સાંસદે કહ્યું કે કમલેશ તિવારીએ કંઈક કહ્યું,તેનાથી તેમને દુઃખ થયું અને હત્યા કરી નાંખવામાં આવી.જો કોઈ કંઈ કહે તો તેને ધમકીઓ આપવામાં આવે છે.”
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, “તેઓ આપણા દેવી-દેવતાઓ ઉપર ફિલ્મો બનાવે છે,તેનું ડાયરેક્શન કરે છે અને અપશબ્દો કહે છે.આ બધું આજે જ નથી થઇ રહ્યું, તેમનો આખો એક ડાબેરી ઇતિહાસ રહ્યો છે.તેઓ પોતાની વિધર્મી માનસિકતા દર્શાવે છે.આ ભારત છે.હિંદુઓની છે.અહીં સનાતન જીવંત રહેશે.તેને જીવંત રાખવાની જવાબદારી આપણી છે અને આપણે તે જાળવીશું.”
નુપુર શર્માના કથિત નિવેદન પર ઈસ્લામિક દેશોએ ઉઠાવેલ વાંધા પર ટિપ્પણી કરતા ભાજપ સાંસદે કહ્યું કે વિધર્મીઓ દરેક જગ્યાએ પોતાની માનસિકતા સ્થાપિત કરવા માંગે છે.જ્યારે સનાતન ધર્મ પોતાનો ધર્મ સ્થાપિત કરે છે, જે માનવ હિત માટે છે.
ઉલ્લેખનીય છે કે, નૂપુર શર્માના કથિત નિવેદન પર કતર સહિત ઘણા ઈસ્લામિક દેશોએ ભારત સામે નારાજગી વ્યક્ત કરી હતી.જે મામલે ભારતે સ્પષ્ટતા કરી છે કે કોઈ વ્યક્તિની અંગત ટિપ્પણીઓ સરકારના વિચારો પ્રદર્શિત કરતી નથી.જોકે, નૂપુર શર્માની કથિત વિવાદિત ટિપ્પણી બાદ ભાજપે તેમને અને નવીન જિંદલને પાર્ટીમાંથી બરતરફ કરી દીધાં હતાં.

