દહેરાદૂન, 3 મે,2022,મંગળવાર : ઉતરાખંડમાં 1700થી વધુ ગામો ખાલી થઇ ગયા છે એમાં પણ 700 ગામો તો છેલ્લા 10 વર્ષમાં વસ્તી વિહોણા ભૂતિયા બની ગયા છે.1000થી વધુ ગામો એવા છે જેની વસ્તી 100 કરતા પણ ઓછા લોકોની છે.અલમોડા જિલ્લાના તો 80 ટકા ગામો ખાલી થઇ ગયા છે.ગ્રામીણ વિસ્તારોમાંથી વધતું જતું પલાયન માઇગ્રેશન આયોગ માટે પણ ચિંતાનો વિષય બન્યું છે.આમ તો એક સ્થળેથી બીજા સ્થળે લોકો રોજગાર માટે સ્થળાંતરિત થતા હોય છે પરંતુ ઉતરાખંડ ચીન સાથે જોડાયેલું સરહદી રાજય હોવાથી અંતરિયાળ વિસ્તારોમાં માનવ વસ્તી હોવી જરુરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકો પાયાની સુવિધા અને રોજગારીના અભાવે દૂર દૂરના શહેરોમાં પલાયન કરે છે.કોરોના લોકડાઉનના સમયમાં કેટલાક ગામોમાં લોકો પરત આવ્યા હતા પરંતુ હવે ફરી ઉજ્જડ થઇ ગયા છે.50 ટકાથી વધુ લોકો માત્ર રોજગારીની શોધમાં જ ગામ છોડી દે છે.વિવિધ સરકારી યોજનાઓ માટે સર્વે કરવામાં આવે ત્યારે મોટા ભાગના ગામોના ઘરોમાં તાળુ લટકતું જોવા મળે છે અથવા તો કાંટાની વાડ ખોડેલી હોય છે.સરકારે સેંકડો ગામોને ઉજ્જડ અને વસ્તી વિહોણા જાહેર કરવા પડયા છે.ઉતરાખંડનું બલુની ગામની વસ્તી 32 લોકોની હતી પરંતુ ચાર વર્ષ પહેલા શ્યામાપ્રસાદ નામની અંતિમ વ્યકિતએ ગામ છોડી દીધું હતું.
જો કે પિથૌરાગઢના મટિયાલ ગામની કહાની સાવ અનોખી છે.2020માં લોકડાઉન દરમિયાન બે યુવાનો દિનેશસિંહ અને વિક્રમસિંહ ગામમાં આવ્યા હતા.પોતાના ગામને ઉજ્જડ સ્થિતિમાં જોઇને દુખી થયા હતા.બંનેએ અનાજ અને શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કર્યો.તેમણે પલાયન અટકાવવા માટેની સરકારી યોજનાના લાભ લઇને પશુપાલન પણ શરુ કર્યું. આ ઉપરાંત ખેતીમાંથી જે ફાયદો થયો તેની આવક પણ ગાયો, બળદ અને બકરીઓ ખરીદી.આ મટીયાલ ગામને લોકો અને ભૂતિયું સમજતા હતા તેવા અનેક પરીવારો વર્ષો પછી ગામમાં આવતા થયા,આ પ્રકારના પ્રયાસો કરવાથી જ ગ્રામીણ વિસ્તારોમાં પલાયન અટકાવી શકાશે.