કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના પ્રધાન ડૉક્ટર હર્ષ વર્ધને ગઈ કાલે જણાવ્યું હતું કે ઊંચું જોખમ ધરાવતા ગ્રુપના લોકોને રસીકરણ કર્યા બાદ સરકાર માટે દેશના તમામ લોકોને રસી આપવાનું સંભવ બની શકશે.
રાજીવ ગાંધી સરકારી જનરલ હૉસ્પિટલ ખાતે સંપૂર્ણ રાજ્યમાં કોવિડ-19ના રસીના ડ્રાય રનની સમીક્ષા કર્યા બાદ તેમણે પત્રકારોને કહ્યું હતું કે કેન્દ્રએ વૅક્સિનના સંભવિત લાભાર્થીઓને શોધવા અને તેમને ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ આપવા સરકારે નવું કોવિડ પ્લૅટફૉર્મ શરૂ કર્યું છે.સૌથી ઓછા સમયમાં રસી તૈયાર કરીને ભારતે અભૂતપૂર્વ કામગીરી નોંધાવી છે,આ ઉપરાંત હાલમાં સરકારે બે રસીના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપી છે.આગામી થોડા દિવસમાં તેમ જ નજીકના ભવિષ્યમાં ભારત અગ્રીમતાના ધોરણોનુસાર ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કાર્યરત રહેલા દેશના નાગરિકોને રસી આપી શકશે.સરકારે આ માટે યોજના પણ તૈયાર કરી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

